મહીસાગરના કડાણામાં બિરસા મુંડાની મૂર્તિ ખંડિત થતાં મામલો ગરમાયો છે. આદિવાસી સમાજમાં ભારોભાર રોષની લાગણી વ્યાપી છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને સમજી રાજ્ય સરકારના મંત્રી કુબેર ડિંડોરે તાત્કાલિક તપાસના આદેશ આપતા કહ્યું છે કે મૂર્તિ ખંડિત કરનાર સામે કાર્યવાહી કરાશે. તેમજ નવી મૂર્તિની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવશે. સમગ્ર મામલે આદિવાસી સમાજને શાંતિ રાખવા માટે અપીલ કરી છે.
તો બીજી તરફ બિરસા મુંડાની મૂર્તિ ખંડિત થવાથી કલેક્ટરે દુઃખ વ્યકત કર્યું છે. જિલ્લા કલલેક્ટરે પણ કડક કાર્યવાહીના આદેશ પારિત કર્યા છે. તેમણે પણ આદિવાસી સમાજને દિલાસો આપ્યો છે કે મૂર્તિની તે જ જગ્યા પર ફરી સ્થાપના કરાશે.આદિવાસી સમાજને શાંતિ અને ભરોસો રાખવા અપીલ કરી છે. મહત્વનું છે કે કડાણા ડેમની બાજુમાં વિશ્વ આદિવાસી દિવસે બિરસા મુંડાની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી હતી. બિરસા મુંડાની મૂર્તિ સ્થળે આદિવાસી યુવાનો અને કાર્યકરો માટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને ઘટનાનો સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ભરમાં અસામાજિક તત્વોના આ કરતૂતની નિંદા થઈ રહી છે.
બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. માત્ર 25 વર્ષની ઉંમરે જ પોતાના અધિકારો અને સ્વાયત્તતા માટે અંગ્રેજી હકુમત સામે અવાજ ઉઠાવ્યો હતો અને શહીદી વહોરી લીધી હતી. બિરસા મુંડાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી હતી. આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને ભગવાનની જેમ જ પૂજવામાં આવે છે.