કેન્દ્રમાં ત્રણ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરતાં ખેડૂતોને સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ પણ સમર્થન આપ્યું છે. તેઓ પણ આજે એક દિવસના અનશન પર બેઠા છે. પ્રદર્શન કરતાં ખેડૂત સંગઠનોએ મંગળવારે ભારત બંધની અપીલ કરી હતી. આ વિશે અન્ના હજારેએ કહ્યું હતું કે, દેશમાં આંદોલન થવું જોઈએ જેથી સરકાર પર પ્રેશર બને અને તેઓ ખેડૂતોના હિતમાં પગલાં લે.
અન્ના હજારેએ એક રેકોર્ડેડ મેસેજમાં કહ્યું છે કે, હું દેશના લોકોને અપીલ કરુ છું કે, દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે તે સમગ્ર દેશમાં ચાલવું જોઈએ. સરકાર પર પ્રેશર લાવવા માટે આવી સ્થિતિ ઉભી કરવી જરૂરી છે અને તે માટે ખેડૂતોએ રસ્તા પર ઉતરવું જોઈએ. પરંતુ કોઈ હિંસા ન કરે.
હજારે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાલેગણ સિદ્ધિ ગામમાં આજે અનશન પર બેઠા છે. તેમણે કહ્યું છે કે, ખેડૂતો માટે રસ્તા પર આવવા અને પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ યોગ્ય સમય છે. તેમણે કહ્યું કે, મેં પહેલાં પણ આ મુદ્દાનું સમર્થન કર્યું છે અને આગળ પણ કરતો રહીશ.