અરવલ્લી જિલ્લાના ‘સખી’ વન સ્ટોપ સેન્ટરમાં આસામની અરવલ્લી જિલ્લામાં આવી પહોંચેલી અને ભૂલી પડેલી મહિલાને લાવવામાં આવી હતી. આ મહિલા છેલ્લા 8 મહિનાથી ઘરેથી નીકળી હતી અને છેલ્લા 14 દિવસ મોડાસા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. પતિને શોધવા નીકળી હતી અને પોતે જ ભૂલી પડી હતી અને અરવલ્લી જિલ્લામાં આવી ચડી હતી!
હિંમતનગર સિવિલમાં સારવાર કરાઈ
‘સખી’ વન સ્ટોપ સેન્ટર ના નોડલ અધિકારી અને મહિલા બાળ અધિકારીના માર્ગદર્શન થી પરખ સંસ્થા હિંમતનગર સંચાલિત ‘સખી’ વન સ્ટોપ સેન્ટર, અરવલ્લી દ્વારા તારીખ 8 મે 2022ના રાત્રીના અરસામાં 181 અભયમ હેલ્પ લાઇન દ્વારા આ મહિલાને આશ્રય આપવામાં આવેલો હતો. ત્યારબાદ મહિલાને મેડિકલ સારવાર માટે હિંમતનગર સિવિલ ખાતે લઈ જવામાં આવી હતી અને કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. મહિલાનું કાઉન્સિલિંગ કરાતા મહિલા આસામના કરીમગંજ જિલ્લાના બારિગ્રામના વતની હોવાનું જાણવા મળ્યું હતું. વધુ વિગતો એ પણ મળી કે, મહિલા તેના પતિને શોધવા ઘરેથી નીકળી હતી અને ગુવાહાટી, બેંગલોર ફરતા-ફરતા ગુજરાત આવી પહોંચી હતી.
અરવલ્લી જિલ્લાની ટીમે આસામની વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કર્યો
મહિલાની તમામ વિગતો મળતા જ સખી વન સ્ટોપ અરવલ્લી જિલ્લા દ્વારા આસામના વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી ત્યાંના કેન્દ્ર સંચાલક જોડે વાત કરી મહિલાને આસામ સુધી પહોંચાડવામાં આવી હતી. આસામના સખી વન સ્ટોપનો સંપર્ક કરતા તમામ હકીકત સત્ય હતા અને મહિલા છેલ્લા 8 માસથી ઘરેથી નીકળી ગઇ હતી અને તેના પરિવારમાં આર્થિક સ્થિતિ પણ નહોતી. એટલું જ નહીં મહિલાના પરિવારજનો કોઇ જ સભ્ય આસામથી ગુજરાતમાં લેવા આવી શકે તેમ ન હોવાથી ‘સખી’ વન સ્ટોપ સેન્ટરના બે કેસ વર્કર તથા એક મહિલા પોલીસ સ્ટાફ તથા એક પુરુષ પોલીસ સ્ટાફ સાથે રેલવેમાં આસામ ખાતે પહોંચી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.