ઓસ્ટ્રેલિયાના બોલર જેમ્સ પેટીનસને (James Pattinson) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. એશિઝ (Ashes) પહેલા જ, તેના નિર્ણયથી ઓસ્ટ્રેલિયાને ઝટકો લાગ્યો છે. કારણ કે તે ટીમના મહત્વના બોલરોમાંનો એક હતો. પેટીનસન લાંબા સમયથી ઘૂંટણની ઈજા સામે ઝઝૂમી રહ્યો હતો. 31 વર્ષીય પેટિન્સને પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડની સાથે ઓસ્ટ્રેલિયા માટે ઘણી સિઝનમાં બોલિંગ કરી છે. તે લાંબા સમયથી ટીમનો નિયમિત ભાગ રહ્યો છે. જો કે, તેને ટીમમાં તક ત્યારે જ મળતી હતી જ્યારે તે ત્રણમાંથી કોઈને આરામ આપવામાં આવે. અથવા તો કોઇને ઇજા પહોંચી હોય. પેટીનસન મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો પણ તે હિસ્સો હતો. તેની ટીમે વર્ષ 2020 માં IPL ટ્રોફી જીતી હતી.
ભારતનો 2013 નો પ્રવાસ યાદગાર રહ્યો
2013 નો ભારત પ્રવાસ પેટીનસન માટે ખૂબ જ યાદગાર રહ્યો. જોકે આ પ્રવાસ બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. વર્ષ 2013 માં તેણે ચેપોકમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારત સામે પાંચ વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag), મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni), મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા અને રવિન્દ્ર જાડેજાને આઉટ કર્યા હતા.
ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરે પાંચ વિકેટ લીધી હોય તેવી આ પહેલી ઘટના હતી. જોકે, ઈજાના કારણે તે આ શ્રેણીની બાકીની મેચમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી તેને ટીમની રિવ્યૂ બેઠકમાં ભાગ ન લેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેણે આ માટે જાહેરમાં માફી માંગી હતી.
તાજેતરમાં નિવૃત્તિનો સંકેત આપ્યો હતો
તેણે તાજેતરમાં જ નિવૃત્તિ અંગે સંકેત આપ્યા હતા. તેણે કહ્યું હતું કે, ‘વધતી જતી ઉંમર સાથે ક્રિકેટની મજા લેવી ખૂબ જ મુશ્કેલ છે. તમારે તમારું તમામ ધ્યાન રમત પર રાખવું પડશે, જો કે તે બધુ એક સમયે સમાપ્ત થાય છે. આ વર્ષ મારા માટે ખૂબ મહત્વનું છે. જો મને ટીમમાં સ્થાન મળે તો હું મારું બધું આપવા તૈયાર છું.
જો આવું ન થાય તો હું માત્ર મારી રમતનો આનંદ માણવા પર ધ્યાન આપીશ. ‘પેટીનસને 2011 માં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તેણે 21 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 3.22 ની ઇકોનોમી રેટ પર 81 વિકેટ લીધી છે. આ સાથે જ તેણે 15 વનડેમાં 16 વિકેટ લીધી છે. દરમિયાન, તેણે ચાર T20 મેચ પણ રમી જેમાં તેણે ત્રણ વિકેટ લીધી.