અમદાવાદ: મુંબઈનું હવામાન ખરાબ હોવાના કારણે આફ્રિકાથી અમદાવાદ આવતા મુસાફરો મુંબઈ એરપોર્ટ પર અટવાયા છે. અમદાવાદના મુસાફર સ્નેહલ ધનવાણીએ જણાવ્યું હતું કે મુંબઈમાં હવામાન ખરાબ હોવાનું કહી દિલ્હી લઈ ગયા. દિલ્હીમાં ફ્લાઈટમાં 3 કલાક સુધી બેસાડી રાખ્યા બાદ ફરીથી મુંબઈ લઈ આવ્યા. આ દરમિયાન અમદાવાદની ફ્લાઈટ જતી રહી. જેથી 7 હજાર રૂપિયા ખર્ચ કરીને તાત્કાલિક નવી ટિકિટ અમદાવાદ જવું પડશે. હવે ફ્લાઈટ ક્યારે આવશે તે પણ નક્કી નથી.
મુંબઈમાં ભારે વરસાદ: મહારાષ્ટ્રના મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં 54 સેમી વરસાદ પડ્યો છે. ઘણાં વિસ્તારોમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ તરફથી મંગળવારે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારે આજે દરેક સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ, કોલેજ અને ઓફિસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સોમવારે ભારે વરસાદના કારણે મોડી રાતે મલાડ ઈસ્ટ- કલ્યાણ અને પુણેમાં દીવાલ પડવાના કારણે કુલ 27ના મોત થયા છે.
એરપોર્ટનો મુખ્ય રનવે બંધ: ભારે વરસાદની અસર મુંબઈ એરપોર્ટ ઉપર પણ જોવા મળી છે. સ્પાઈસ જેટ એસજી 6237 જયપુર-મુંબઈ ફ્લાઈટ રનવે પર લપસી ગઈ હતી. તેના કારણે સોમવારે મોડી રાતે મુંબઈ એરપોર્ટનો મુખ્ય રનવે બંધ કરી દેવામાં આવ્યો છે. વૈકલ્પિક રનવે ઓપરેશન ચાલુ છે. સ્પાઈસ જેટની ઘટના પછી 54થી વધારે ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરવામાં આવી છે. તેમાં અમુક અમદાવાદ અને બેંગલુરુ પણ ડાયવર્ટ કરવામાં આવી છે. સ્થાનિક એરલાઈન્સ સોશિયલ મીડિયા પર ફ્લાઈટ મોડી થવાની અને રદ થવાની માહિતી આપી રહ્યા છે. વિસ્તારા એરલાઈન્સે 10 ફ્લાઈટ રદ કરી છે. તેમાં દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈની ફ્લાઈટ્સ પણ સામેલ છે. તે સિવાય ઈન્ડિગોએ તેમના મુસાફરો માટે એડ્વાઈઝરી જાહેર કરી છે.
આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી: મુંબઈ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 24 કલાકમાં શહેરના ઉપરવાસમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ થવાનો અંદાજ છે. બીજી બાજુ મુંબઈ પોલીસે લોકોને અપીલ કરી છે કે હવામાન જોઈને બહાર નીકળવાનું પ્લાનિંગ કરો. ભારે વરસાદમાં કામ વગર બહાર નીકળવાનું ટાળવું.