આજથી બે વર્ષ પહેલા 26 ફેબ્રુઆરી, 2019ના રોજ મંગળવારે રાતે આશરે 3 કલાકે ભારતીય વાયુ સેનાના 12 મિરાજ 2000 ફાઈટર જેટ લાઈન ઓફ કંટ્રોલ (LoC) પાર કરીને પાકિસ્તાનની સરહદમાં દાખલ થયા હતા અને બાલાકોટ ખાતે આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારથી તે ઘટના બાલાકોટ એરસ્ટ્રાઈક તરીકે ઓળખાઈ રહી છે.
સરકારી દાવા પ્રમાણે મિરાજ 2000એ આતંકવાદીઓના અડ્ડા પર આશરે 1,000 કિલોના બોમ્બ વરસાવ્યા હતા જેમાં આશરે 300 આતંકવાદી માર્યા ગયા હતા. પાકિસ્તાનને ભારત આ પ્રકારની કોઈ કાર્યવાહી કરશે તેનો અણસાર પણ નહોતો આવ્યો. આ ઘટનાના 12 દિવસ પહેલા પુલવામા ખાતે જે આતંકવાદી હુમલો થયો હતો તેનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન પર આ હુમલો કર્યો હતો.
CRPFના 40 જવાનો શહીદ થઈ ગયા હતા
હકીકતે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ આતંકવાદીઓએ ભારતના સુરક્ષાકર્મીઓ પર કાયરોની જેમ હુમલો કર્યો હતો. તે હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થઈ ગયા હતા અને અન્ય કેટલાક જવાનો ગંભીર રીતે ઘવાયા હતા. જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં વિસ્ફોટકો ભરેલા વાહન વડે CRPFના કાફલાને ટક્કર મારી હતી જેથી ભયંકર વિસ્ફોટ થયો હતો અને જવાનો શહીદ થયા હતા.