નવી દિલ્હીઃ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આવનારા સમયમાં એક બેંકમાં ખાતું ખોલાવીને દેશની કોઈ પણ બેંકમાં બેંકિંગ સેવાની સુવિધા મળશે. વિદેશી મુદ્રામાં લોન લેવાની પ્રક્રિયાને પણ સહેલી બનાવવામાં આવી રહી છે. નાણાંમંત્રીએ શનિવારે ભાસ્કરની સાથે ચર્ચામાં કહ્યું ટેક્નોલોજીની મદદથી દરેક બેંક એક બીજા સાથે જોડાઈ ગઈ છે. એવામાં રિઝર્વ બેંકની મદદથી એટીએમની તર્જ પર બેંકિંગની નવી સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઈલેકટ્રોનિક એક્સચેન્જથી ટૂંક સમયમાંજ સંભવ થઈ જશે.
તેઓએ કહ્યું કે સોનાની આયાત પર ડ્યૂટી વધારવાની પાછળ સરકારનો ઉદ્દેશ્ય સોનાની આયાતને હતોત્સાહિત કરવાનો છે, કેમકે પેટ્રોલિયમ પછી સોનાની આયાતમાં સૌથી વધુ આપણી વિદેશી મુદ્રા બહાર જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી મોંઘવારી વધશે તેવા સવાલ પર નાણાંમંત્રીએ કહ્યું કે તે પણ જોવું જોઈએ કે અમે ગત પાંચ વર્ષમાં મોંઘવારી વધવા નથી દિધી.
સુટકેસ-બ્રીફકેસ મને પસંદ નથી, મામીએ ફોલ્ડર બનાવીને આપ્યું હતું: પોતાનું પહેલું બજેટ રજૂ કરતાં સીતારમણે બજેટ દસ્તાવેજ સૂટકેસ કે બ્રીફકેસમાં લાવવાની બદલે લાલ કપડાંથી બનેલા ફોલ્ડરમાં લાવી સંસદ પહોંચ્યા હતા. આ અંગે તેઓએ કહ્યું કે, “સૂટકેસ, બ્રિફકેસ મને પસંદ નથી. આ અંગ્રેજોના સમયથી ચાલતું આવે છે. પછી મારી મામીએ મને લાલ કપડાંનું ફોલ્ડર બનાવી દીધું. તેઓએ પૂજા અર્ચના કર્યા બાદ મને આ લાલ ફોલ્ડર આપ્યું હતું. આ ઘરનો થેલો ન લાગે તે માટે સરકારી ઓળખ આપવા તેના પર અશોક સ્તંભનું ચિન્હ લગાવવામાં આવ્યું.” ફોલ્ડરને વહીખાતું નામ કોણે આપ્યું, તેના પર નાણાંમંત્રીએ કહ્યું કે આ નામ જનતામાંથી જ ક્યાંકથી આવ્યું છે.