ભારતમાલા પ્રોજેક્ટને લઇને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો પર સાથે બેસી વિચાર મંથન કરીને સુખદ ઉકેલ લાવવાના આશયથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને ખેડૂતો વચ્ચે જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી.જેમાં પણ ભારતમાલામાં સંપાદન થતી જમીનના ખેડૂતોએ બજારભાવે વળતરની માંગણી કરી હતી એટલુ જ નહીં, જ્યાંસુધી વળતર સહિતના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સર્વેની કામગીરી નહીં કરવા પણ તંત્રને જણાવાવમાં આવ્યું હતું.
આ બેઠકના આરંભે નિવાસી અધિક કલેકટર દિગંત બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ભારતમાલા પ્રાજેક્ટને લઇને જે ખેડૂતોને અસર થાય છે તેના પ્રશ્નનો સુખદ નિરાકરણ લાવવા માટે ખેડૂતો અને સરકાર વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર સેતુની ભૂમિકા અદા કરી રહ્યું છે. સરકાર દ્વારા પણ ખેડૂતોને અન્યાય ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવનાર છે. નાયબ કલેકટર અર્જુનસિંહ વણઝારાએ ખેડૂતોને પ્રશ્નો રજૂ કરવા જણાવ્યું હતું. ખેડૂતોએ પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી.ખેડૂતોએ જણાવ્યું હતુ કે, આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોએ રોડને સંલગ્ન સવસ રોડ નિર્માણ થાય તે જરૃરી છે. તેમજ આ અંગે જે સર્વે કરવામાં આવ્યો છે, તેમાં આ જોગવાઇ કરવી પડશે. તેની સાથે સરકાર દ્વારા જમીન સંપાદન થાય છે, તે ખેડૂતોને બજારભાવને ધ્યાને રાખીને વળતર આપવાની માંગણી કરી હતી. તેની સાથે અમુક ખેડૂતોની જમીનમાં આવતા બોર, વીજલાઇન જેવા અનેક પ્રશ્નો વળતરના પણ ઉકેલ લાવવાની માંગણી કરી હતી.ખેડૂતો દ્વારા ત્યાં સુધી કોઇપણ પ્રકારની સર્વેની કામગીરી ન કરવામાં આવે તેવી માંગણી પણ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ કરી હતી.આ બેઠકમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટના ડાયરેકટર, ગાંધીનગર પ્રાંત અધિકારી બ્રિજેશ મોડિયા, કલોલ પ્રાંત અધિકારી જૈનિલ દેસાઇ સહિત તમામ તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, કલોલ અને ગાંધીનગર ડી.વાય.એસ.પી. સહિત વિવિધ ગામના સરપંચો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.