કુદરતી અને કારીગરીની અનોખી અસ્મિતા ધરાવતા કચ્છ મલકના એક હસ્તકલાના કારીગરને કોરોનાથી બચવા માટે સેનેટાઈઝરનો ઉપીયોગ વ્યવસાય બંધ કરાવી ગયો છે. ભૂજ તાલુકાના ભુજોડી ગામે પચાસ વર્ષથી કાર્પેટ હસ્તવળાંટનો વ્યવસાય કરતા વિરજી વણકર હાથમાં સેનેટાઇઝર લગાડવાથી સ્કિન ઇન્ફેક્શનનો શિકાર બન્યા છે. તેમની બન્ને હાથની હથેળીઓ પર ફોલ્લા પડી જતા તે કામ ન કરી શકતાં તેમનો વ્યવસાય બંધ થઇ ગયો છે.
આ અંગે વિરજીભાઈ જણાવ્યું હતું કે, કોરોનાની શરૂઆતના સમયમાં સરકારી કચેરી, બેન્ક વગેરે સ્થળોએ કામસર જતા ત્યારે બહાર કર્મચારી દ્વારા હાથમાં સેનેટાઈઝર લગાડ્યા બાદ પ્રવેશ અપાતો, જેના કારણે તેમને હથેળીઓમાં ફોલ્લીઓ થવા લાગી હતી જે ધીરે ધીરે વધતી ગઈ અને હાથ એકદમ સખ્ત થઈ જતા તેનો ઇલાજ પણ કરાવ્યો જેના પાછળ 15થી 20 હજારનો ખર્ચ કરવો પડ્યો પરંતુ હાથથી કામ થઈ શકતું ન હોવાથી આજે વર્ષીનો ધંધો ખોવાનો વારો આવ્યો છે.
પોતે બનાવેલા વુલન કાર્પેટની માંગ ઠંડા પ્રદેશોના આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનમાં ખૂબ રહે છે પણ ચામડીની બુમરીના કારણે આ દેશમાંથી મળેલા ઓર્ડર કેન્સલ કરવા પડ્યા છે હાલ મારા જેવા માત્ર એક બે કારીગરજ કચ્છમાં કાર્યરત હોવાનું તેમણે કહ્યું હતું. આમ કોરોના બીમારી જેને થાય તેનેતો ઠીક પણ જેને નથી થઈ તેને પણ ક્યાંકને ક્યાંક અસર કરનારી બની રહી છે.