બિહારના JDU નેતા અને વિધાન પરિષદના સદસ્ય તનવીર અખ્તરનું કોરોનાના કારણે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર અંતર્ગત હતા. શનિવારે તેમનું અવસાન થયું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વીટ કરીને તનવીર અખ્તરના મૃત્યુ અંગે દુખ વ્યક્ત કર્યું હતું.
નીતિશ કુમારે લખ્યું હતું કે, ‘બિહાર વિધાન પરિષદના સદસ્ય મો. તનવીર અખ્તરજીનું અવસાન ખૂબ જ દુખદ છે. તેઓ એક કુશળ રાજનેતા હતા. તેમના અવસાનના કારણે રાજકીય અને સામાજીક ક્ષેત્રે અપૂરણીય ક્ષતિ થઈ છે. રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભગવાનને પ્રાર્થના કે તેમને જન્નતમાં આલા મકામ અતા કરે.’ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજદના ધારાસભ્ય તેજસ્વી યાદવે પણ તનવીર અખ્તરના મૃત્યુ અંગે દુખ વ્યક્ત કર્યું છે.
બિહારમાં થોડા સમય પહેલા કોરોના સંક્રમણના કારણે ભાજપના એમએલસી હરિનારાયણ ચૌધરીનું પણ અવસાન થયું હતું. બિહાર સરકારના મુખ્ય સચિવ અરૂણ કુમાર સિંહે પણ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.