તમને IPL 2024 તો યાદ જ હશે. આ સીઝનમાં જો કોઈ ક્રિકેટરને સૌથી વધુ ટીકાનો સામનો કરવો પડ્યો હોય તો તે હાર્દિક પંડ્યા હતો. રોહિતની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યા બાદ મેદાન પર હૂટિંગથી લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ સુધી હાર્દિકે દરેક બાબતનો સામનો કર્યો. પરંતુ હાર્દિક મેચ દરમિયાન સતત હસતો રહ્યો. તેની ટીમ IPL 2024 માં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી. પરંતુ હવે એક વર્ષ પછી હાર્દિકની સ્ટોરી આખી બદલાઈ ગઈ છે. જ્યારે હાર્દિક IPL 2025માં મેદાનમાં ઉતરશે ત્યારે તેના હાથમાં બે-બે ICC ટ્રોફી હશે. T20 વર્લ્ડ કપ બાદ હાર્દિકે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ચેમ્પિયન જેવું પ્રદર્શન કર્યું હતું. હાર્દિકની આ સફર પર ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર મોહમ્મદ કૈફે પોતાની વાત મૂકી છે. કૈફે સોશિયલ મીડિયા પર કહ્યું કે ‘હાર્દિકે ખૂબ માનસિક ત્રાસ સહન કર્યો છે. હાર્દિકની ત્યાંથી અહીં સુધી પહોંચવાની સ્ટોરી એટલી પ્રેરણાદાયક છે કે તેના પર બાયોપિક અથવા ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ બનવી જોઈએ. કૈફે હાર્દિકને જંગલનો સિંહ ગણાવ્યો.’
કમબેકની સ્ટોરી
મોહમ્મદ કૈફે હાર્દિક પંડ્યા માટે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં તેમણે માનસિક ત્રાસ અને અપમાનમાંથી હાર્દિકના કમબેકની સ્ટોરી જણાવી છે. કૈફે કહ્યું કે, ‘હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, હું મારા આંસુ કોઈને બતાવવા નહોતો માંગતો. નહીંતર લોકો વધુ ખુશ થઈ જાત અને હજુ ઘણો આનંદ માણ્યો હોત. તે પોતાના હૃદયમાં રહેલી પીડા સાથે આગળ વધ્યો. તે એક ખૂબ જ ખરાબ જર્ની હતી. લોકોએ હૂટિંગ કર્યું. લોકોએ તેને નકારી પણ દીધો. એક ખેલાડી તરીકે હું તમને કહી શકું છું કે અપમાન સાથે આગળ વધવું એ સૌથી ઊંડો ઘા છે. ખેલાડી તેને ક્યારેય ભૂલી નથી શકતો, ક્યારેય સહન નથી કરી શકે.’
અપમાન સહન ન કરી શકાય
કૈફે આગળ કહ્યું કે, ‘તમે ખેલાડીને ડ્રોપ કરી દો. પરંતુ અપમાન સહન કરીને આગળ વધવું એ કોઈપણ ખેલાડી માટે સારું નથી. ખેલાડી તેને માનસિક ત્રાસ તરીકે લે છે. હાર્દિક પંડ્યા સાથે આવું જ બન્યું છે. તે માનસિક ત્રાસ સાથે આગળ વધ્યો. વર્લ્ડ કપ રમવા ગયો. જ્યાં તેણે બોલિંગથી પ્રહાર કર્યો. ક્લાસેનની વિકેટ લઈને વર્લ્ડ કપ જીતાડ્યો. પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેણે એડમ ઝામ્પા સામે છગ્ગા ફટકાર્યા.’ કૈફે પંડ્યાને સિંહ ગણાવ્યો. તેમણે કહ્યું કે ‘પંડ્યાએ બેટ અને બોલથી પ્રહાર કર્યો. તે જંગલનો સિંહ છે જે એકલો ચાલે છે. જો તેમના પર ક્યારેય કોઈ ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ બને, તો સાત મહિના તેણે જે સહન કર્યું, તેની લોકો મિસાલ આપશે. આપણે તેની પાસેથી શીખીશું કે મુશ્કેલ સમયમાં કેવી રીતે ‘કમબેક’ કરવું.’
રોહિતના સ્થાને MIનો કેપ્ટન બન્યો હતો
નોંધનીય છે કે IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશીપ પરથી હટાવી દીધો હતો અને તેના સ્થાને હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ વાતને લઈને રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો ખૂબ નારાજ થઈ ગયા હતા. વાસ્તવમાં હાર્દિકે બે વર્ષ સુધી ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરી હતી. તેણે એક વાર ટ્રોફી પણ જીતી અને બીજા વર્ષે પણ પોતાની ટીમને ફાઈનલમાં લઈ ગયો. પરંતુ જ્યારે હાર્દિકને મુંબઈ તરફથી કેપ્ટનશીપની ઓફર મળી ત્યારે તે આ ટીમમાં સામેલ થઈ ગયો. સોશિયલ મીડિયા પર ચાહકોએ હાર્દિકને ખૂબ ખરી-ખોટી સંભળાવી. પરિસ્થિતિ એટલી હદે પહોંચી ગઈ કે જ્યારે હાર્દિક મેદાન પર મેચ રમવા આવ્યો ત્યારે ત્યાં પણ તેનું હૂટિંગ થયું. આ તમામ વચ્ચે હાર્દિક પંડ્યા અને રોહિત વચ્ચે કોલ્ડ વોર અને મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રૂમમાં અણબનાવના સમાચાર પણ સામે આવ્યા હતા.