ગુજરાત ભાજપના કેન્દ્રીય પ્રભારી અને સાંસદ ભૂપેન્દ્ર યાદવ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં આજે તેમણે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સરકાર અને સંગઠનના નેતાઓ સાથે કોર કમિટીની બેઠક કરી હતી. આગામી 15મી તારીખે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે અને ધારાસભ્યોની પણ બેઠક યોજાશે. જેમાં ભાજપના નેતાઓને બહાર નિકળવા સૂચના આપવામાં આવશે. કોરોનાની મહામારીમાં પ્રજામાં રોષ ભડકે તો શાંતિથી સાંભળી ઉકેલવાનું માર્ગદર્શન આપવામાં આવશે.
ગુજરાત ભાજપના કેન્દ્રીય પ્રભારી 3 દિવસના પ્રવાસે
કોબા ગાંધીનગર હાઈવે પર આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના કેન્દ્રીય પ્રભારી અને સાંસદ ભૂપેન્દ્ર યાદવ આજે બેઠકને સંબોધન કરવા આવ્યા હતા. જેમાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, કોર ટીમના સદસ્યો પુરૂષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાં, આર.સી ફળદુ, સુરેન્દ્ર પટેલ(કાકા), શંકર ચૌધરી, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા તેમજ ભાજપા ગુજરાત પ્રદેશના સંગઠનના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોરોનામાં સરકારની કામગીરી સામે લોકોમાં રોષ
નોંધનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન ઘણા પરિવારો વેરવિખેર થઈ ગયા. હોસ્પિટલમાં બેડની અછત, ઓક્સિજનની અછત, દવાઓ તથા ઈન્જેક્શનોની અછત, જેવા અનેક કારણોથી લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. એવામાં સરકાર સામેનો રોષ લોકોમાં ભભૂકી ઉઠ્યો છે. કપરા સમયમાં નેતાઓ પણ લોકોની વચ્ચે દેખાતા નહોતા. એવામાં નેતાઓને ફરીથી લોકો વચ્ચે જઈને તેમનો વિશ્વાસ જીતવા માટે તથા આગામી વિધાનસભા ચૂંટણી પહેલા આ મતદારોના મિજાજ પારખી શકાય તેની તૈયારી ભાજપે શરૂ કરી હોય તેમ લાગી રહ્યું છે.
સુરત ભાજપ દ્વારા રેમડેસિવિરની વ્યવસ્થાને લઈને ઉઠ્યા હતા સવાલ
રાજ્ય કોરોનાની બીજી લહેરમાં મહામારીમાં સપડાઈ રહ્યું હતું. હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી હતી. રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની લાઈનો લાગતી હતી. આ વચ્ચે સુરતમાં સી.આર પાટીલે 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરી આપી હતી. એવામાં મુખ્યમંત્રી રૂપાણીએ પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, સી.આર પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી એ વિશે તેમને પૂછો. સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી.
‘રાજકોટમાં બેડ નથી મળતા તે વિશે મને ખબર જ નથી!’
સી.એમ રૂપાણીએ પાટીલે કરેલા ઈન્જેક્શનની વ્યવસ્થા અંગે પોતાને જાણકારી ન હોવાનું જણાવ્યું તેના થોડા દિવસો બાદ જ સી.આર પાટીલ રાજકોટમાં પહોંચ્યા હતા. જેમાં કાર્યક્રમ પહેલા રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચેલા સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘બેડ મળતા નથી અને પરિવારજનોને 30 કલાક સુધી મૃતદેહો મળતા નથી એ સ્થિતિ વિશે મને ખબર નથી.’