ભચાઉના નવી ભચાઉ વિસ્તારમાં રહેતા 72 વર્ષીય પરબતભાઇ કચરાભાઇ ભાઈ પટેલ નામના વૃદ્ધ આજે સવારે ઘરેથી નીકળ્યા બાદ નજીકના છછડા તળાવમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. હતભાગી વડીલના મૃતદેહને રાહદારીઓએ તળાવમાં તરતી હાલતમાં જોતા ભચાઉ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે સુધારાઈના ફાયરમેન પ્રવીણ દાફડા અને કુલદીપ ગંઢેર મારફત મૃતદેહને તળાવમાંથી બહાર કિનારા પર લઈ સરકારી દવાખાને ખસેડયો હતો જ્યાં ફરજ પરના તબીબે વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા.
બનાવની પ્રાથમિક માહિતી મુજબ હતભાગી પરબતભાઇ પટેલ પેટની ગાંઠથી પીડાતા હતા અને બે ત્રણ દિવસ બાદ અમદાવાદથી રિપોર્ટ આવી ગયા બાદ ભચાઉની ખાનગી હોસ્પિટલમાં તેમના પેટનું ઓપરેશન પણ થવાનું હતું. ત્યારે આજે રવિવારે સવારે ઘરે ચા નાસ્તો કર્યા બાદ બહાર દાઢી કરાવવા જવાનું કહીને નીકળ્યા બાદ નગરના વાડી વિસ્તારમાં આવેલા છછડા તળાવમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. બનાવના પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.