શહેરના વાઘાવાડી રોડ પર આવેલી વાઘ બંગલો નામની મિલકત પર દાવો કરી બિલ્ડર્સને ધમકાવી મોટી રકમ પડાવવાના પ્રયત્નમાં મુખ્ય સૂત્રધાર સહિત બન્ને તોડબાજનો એલસીબીએ જેલ ટ્રાન્સફર વોરંટથી કબજો સંભાળ્યો છે. બન્ને શખ્સને આવતીકાલે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર વરતેજની જમીનમાં જાલી દસ્તાવેજો, કુલમુખ્યતારનામુ ઉભું કરી સરકારી કચેરીઓમાં અરજી અને નોટિસો સામે વાંધા અરજી કરી મોટી રકમનો તોડ કરવાની પેરવી કરનારા મહાવીરસિંહ ઉર્ફે ગલકું, પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા ગોહિલ અને સતુભા ઉર્ફે છત્રપાલસિંહ કલ્યાણસિંહ સરવૈયા સહિતના ચાર શખ્સ હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. દરમિયાનમાં આ તોડબાજ ટોકળીની ગેંગે શહેરના વાઘાવાડી રોડ, સાયન્સ કોલેજ સામે આવેલ વાઘ બંગલો તરીકે ઓળખાતી મિલકતમાં પણ પૂર્વઆયોજીત ગુનાહિત કાવતરૂ રચી બનાવટી સાટાખત અને વસિયતનામુ બનાવી જાહેર નોટિસમાં વાંધા અરજી રજૂ કરી કલેક્ટર સહિતની જુદી-જુદી કચેરીઓમાં અરજી કરી હતી. તેમજ મુખ્ય સૂત્રધાર મહાવીરસિંહનો પુત્ર રવિરાજસિંહ નામના શખ્સે શિવશક્તિ અને હેરાલ્ડ ગુ્રપ બિલ્ડર્સના ભાગીદાર કુલદીપસિંહ ગોહિલને જમી ખાલી કરવા અને મેટરની પતાવટ માટે રૂપિયા આપવા ગર્ભિત ધમકી આપી હતી. જે બનાવ અંગે સુરતના બિલ્ડર વિજયભાઈ કાસોદિયાએ ગત પાંચમી જૂનના રોજ બાપ-દિકરા અને સતુભા સરવૈયા નામના શખ્સ સામે સ્થાનિક નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એલસીબી પીએસએઈ વી.વી. ધ્રાંગુએ હાથ ધરી વરતેજના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા મહાવીરસિંહ ગોહિલ અને સતુભા સરવૈયા નામના શખ્સોનો આજે સોમવારે જેલમાંથી કબજો મેળવ્યો હતો. આ બન્ને શખ્સને આવતીકાલે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે તેમ તપાસનીસ અધિકારીએ જણાવ્યું હતું.