બ્રિટનમાં જોવા મળેલા કોરોના વાઈરસના નવવિકસિત સ્ટ્રેને દુનિયાભરમાં નવો ભય ઊભો કર્યો છે. વધુ ખતરનાક ગણાતો આ વાયરસ સંક્રમણની ઝડપ વધારાવમાં કારણભૂત બનતો હોવાથી ભારતે પણ 31 ડિસેમ્બર સુધી બ્રિટન સાથે હવાઈયાત્રા સ્થગિત કરી દીધી છે. એ સંજોગોમાં આગામી પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન તરીકે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનનું આગમન અનિશ્ચિત બન્યું છે.
પ્રજાસત્તાક દિને વિદેશી મહાનુભાવોને આમંત્રિત કરવાની પરંપરા મુજબ આ વર્ષે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન ભારતની સત્તાવાર મુલાકાતે આવવાના છે. વડાપ્રધાનપદે આરૂઢ થયા પછી આ તેમનો પ્રથમ સત્તાવાર પ્રવાસ છે. પરંતુ કોરોના વાયરસના બદલાયેલા સ્ટ્રેનને લીધે જોનસનની આ પ્રસ્તાવિત મુલાકાત જોખમમાં મૂકાય તેવી આશંકા ઊભી થઈ છે. બ્રિટનમાં જોવા મળેલો વાયરસનો નવો સ્ટ્રેન વધુ ઘાતક હોવાના વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અહેવાલ પછી ભારતે પણ તકેદારીના પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. એ મુજબ તાત્કાલિક અસરથી બ્રિટન જતી-આવતી ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે.વિશ્વના અન્ય દેશો પણ બ્રિટન સાથેનો વ્યવહાર અંકુશિત કરી રહ્યા છે.
એ જોતાં હવે બોરિસ જોનસનનો ભારત પ્રવાસ પણ જોખમમાં મૂકાઈ શકે છે. પ્રાથમિક તબક્કે જાહેર થયા પ્રમાણે જોનસન સાથે બ્રિટિશ પ્રધાનો, અધિકારીઓ ઉપરાંત બ્રિટનના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ સહિત કુલ 33 સભ્યોનું ડેલિગેશન ભારત આવવાનું છે. જોનસન બે દિવસ ભારતમાં રોકાય એવી શક્યતા છે અને તેમની સાથે આવેલ પ્રતિનિધિમંડળ પૈકી કેટલાંક સભ્યો એક અઠવાડિયા સુધી વિવિધ સ્થળોની મુલાકાતો કે દ્વિપક્ષી મંત્રણાઓમાં રોકાશે. પરંતુ બદલાયેલા સંજોગો જોતાં હવે બોરિસ જોનસનની ભારત યાત્રા જોખમી બની શકે છે. અલબત્ત હજુ સુધી બંને દેશોએ આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.