સુરતઃ ગુજરાત સરકાર દ્વારા બિન સચિવાલય સહિતની ભરતીનો મુદ્દો ફરી ગાજ્યો છે. સુરતના ખોલવડમાં રહેતા ઉમેદવારે રાજ્ય સરકાર દ્વારા રદ્દ કરાયેલી તથા સ્થગિત કરેલી તમામ ભરતી અને પરીક્ષાઓ પૂર્ણ કરવા માટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. પોતાના ઘરે જ ઉપવાસ પર બેઠેલા ઉમેદવારે જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા અપાયેલી તમામ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ કોઈ પગલાં ન લેવાતા તેઓ ઉપવાસ પર બેઠાં છે.
રાજ્ય સરકાર ભરતી લટકાવી રાખે છે-ચિંતન
લાલ દરવાજા ખોડિયાર મંદિરેથી દર્શન કરીને ઉપવાસ પર બેઠેલા ચિંતન સંઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેરોજગારીનો દર દિનપ્રતિ દિન વધી રહ્યો છે. ઘણી બધી ભરતીઓની જાહેરાત થયા ને સમય ઘણો વીતિ ગયો છે. પરંતુ સરકારે વિવિધ કારણો રજૂ કરી હજી સુધી ભરતીઓ પુરી કરવામાં આવી નથી. જેમ તારીખ પે તારીખ આપી ને સરકારની નીતિ જ સાફ નથી રાજ્યના ઉમેદવારો કફોડી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે.
કંઈ પણ થાય જવાબદારી રાજ્ય સરકારની-ચિંતન
પોતાના ઘરે જ A3/404, ઓપેરા પેલેસ, લસકાણાથી ખોલવડ રોડ, ખોલવડ ગામ, સુરત ખાતે ઉપવાસ આંદોલન પર બેઠેલા ચિંતને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા માત્ર આંદોલનકારીઓને લોલીપોપ જ અપાઈ હતી. ગાંધીનગરમાં ટ્રમ્પ આવવાના હોવાથી આંદોલનને તોડી પડાયું હતું અને ફરીથી ભરતી કરવા ડેડલાઈન અપાઈ હતી. પરંતુ કોઈ જ નિર્ણય ન આવતાં પરીક્ષાર્થીઓ મૂંજવણનો સામનો કરી રહ્યા છે માટે ગાંધી ચિંધ્યા માર્ગે આજથી ઉપવાસ પર બેઠો છે. ઉપવાસ દરમિયાન મને કંઈ પણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે.