આંધ્ર પ્રદેશના એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીએ કૃષ્ણા નદીના કિનારે આવેલા બંગાલનું ગેરકાયદેસર નિર્માણ જણાવીને નોટિસ જાહેર કરી છે. તેને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂએ લીઝ પર રાખ્યો હતો અને તેઓ અહીં છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. અધિકારીઓએ કહ્યું કે, નિયમો પ્રમાણે નદીની આસપાસ 100 મીટરના અંતર સુધી કોઈ પણ બાંધકામ કરી શકાય નહીં. બીજી બાજુ ટીડિપીએ નોટિસને રાજકારણની દુષ્ટ કાર્યવાહી ગણાવી છે.
માલિકને કહ્યું- એક સપ્તાહમાં બંગલો ખાલી કરાવી દો
- રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના જોનલ અધિકારી નરેન્દ્ર રેડ્ડી શુક્રવારે નાયડૂના બંગલા પર પહોંચ્યા હતા અને તેમના માલિક એલ.રમેશના નામની નોટિસ મુખ્ય દરવાજા પર લગાવી દીધી હતી. તેમાં માલિકને ઉલ્લેખીને કહેવામાં આવ્યું હતું કે, એક સપ્તાહમાં બંગલો ખાલી કરી દેવો. ત્યારપછી આ બંગલાને તોડી પાડવામાં આવશે.
- અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ચંદ્રાબાબૂએ જે બંગલોને લીઝ પર રાખ્યો છે તે 6 એકરમાં ફેલાયેલો છે અને કૃષ્ણા નદીથી થોડો જ દૂર છે. નિયમો પ્રમાણે નદીના 100 મીટર વિસ્તારમાં દરેક પ્રકારના નિર્માણ પર પ્રતિબંધ છે.
નાયડૂના કાર્યકાળમાં બનેલી પ્રજા વેદિકાને તોડી પાડી
આ પહેલાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ નાયડૂના કાર્યકાળમાં 9 કરોડની કિંમતથી બનાવવામાં આવેલું બિલ્ડિંગ પ્રજા વેદિકાને ગેર કાયદેસર ગણાવ્યું હતું. તેમના આદેશથી 25 જૂનથી પ્રજા વેદિકાને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં રેડ્ડી સરકારે નાયડૂના પરિવારના સભ્યોની સુરક્ષા પણ હટાવી લીધી છે. તેમના દીકરાની ઝેડ પ્લસ સિક્યુરિટી ઘટાડી દેવામાં આવી છે.
જગનના પિતા સીએમ હતા ત્યારે બંગલાને મંજૂરી મળી હતી: ટીડિપી
પૂર્વ મંત્રી અને ટીડિપ નેતા યેનમાલા રામકૃષ્ણાડુએ કહ્યું, નાયડુ જે બંગલામાં રહેતા હતા, વાયએસઆર રેડ્ડી (જગન મોહનના પિતા) મુખ્યમંત્રી હતા ત્યારે પંચાયતથી તે બંગલાના બાંધકામને મંજૂરી મળી હતી. નિર્માણ સમયે એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી નહતી. બંગલાને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવાની નોટિસ આપવી તે રાજકીય બદલાની કાર્યવાહી છે.