મહેસાણા : મહેસાણા શહેરમાં લગાવેલા ઓટોમેટિક નંબર પ્લેટ રીડરને આધારે પોલીસે 250થી વધુ વાહનચાલકોને દંડ્યા છે. વાહનની નંબર પ્લેટ ટ્રેક કરી વાહન એક જગ્યા પરથી કેટલી વખત પસાર થયું તેની માહિતી જ નહીં પરંતુ વાહનની સ્પીડ અને તેના તમામ પેપર્સની માહિતી પણ આ સિસ્ટમને આધારે પોલીસને મળી જાય છે. લોકડાઉનમાં પોલીસ આ સિસ્ટમનો ઉપયોગ કરી રખડતા વાહન ચાલકોને પકડી કાર્યવાહી કરી રહી છે.
રાજ્યના ગૃહ વિભાગના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણા સહિત જિલ્લાના મુખ્ય માર્ગો પર એએનપીઆર (ઓટોમેટિક નંબર પ્લેટ રીડર) સિસ્ટમ લગાવાઇ છે. જેને આધારે વાહનોની નંબર પ્લેટ ટ્રેક કરી પોલીસ કંટ્રોલરૂમથી એક વાહન શહેરમાં કેટલી વાર ફર્યુ છે તે જાણી શકે છે. સાથે વાહનની સ્પીડ તેમજ વાહનની આરટીઓ માહિતી પણ તાત્કાલિક મળી રહેતાં પોલીસ માટે વાહનચાલક સામેની કાર્યવાહી આસાન રહે છે. જિલ્લા પોલીસવડા મનીષસિંહે કહ્યું કે, એએનપીઆર સિસ્ટમથી કંટ્રોલરૂમમાંથી વાહનો પર નજર રખાય છે અને જો કોઇ વાહન નવું ફરતું જણાય તો તેવા વાહનોની તપાસ કરીએ છીએ કે તે વાહન માલિક કેમ બહાર નીકળ્યો, તે કયા રૂટમાં ગયો હતો અને શું કારણ છે અને તેમાં પણ લોકડાઉનનો ભંગ થતો જણાય તો તેની સામે ગુનો દાખલ કરાય છે. અત્યાર સુધીમાં 250 લોકોને આઇડેન્ટીફાય કરી તેમની સામે કાર્યવાહી કરાઇ છે.