નવી દિલ્હી/લેહ. ભારત અને ચીનની સીમા પર તણાવ સતત વધી રહ્યો છે. ચીનની સેનાની અવર-જવર હવે દેપસાંગ સેકટરમાં પણ વધી ગઈ છે. એમ કહેવાઈ રહ્યું છે કે ચીનના સૈનિકો ઘુસખોરીની કોશિશમાં છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, ચીને પૂર્વી લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી(DBO) એર સ્ટ્રીપથી 30 કિલોમીટર અને દેપસાંગથી 21 કિલોમીટર દૂર મોટી સંખ્યામાં સેના તૈનાત કરી છે. અહીં કેમ્પોમાં સેનાની ગાડીઓ અને તોપ પણ પહોંચવા લાગી છે.
ચીન આ વિસ્તારમાં પેટ્રોલિંગ પોઈન્ટ 10થી 13ની વચ્ચે ભારતીય સેના માટે મુશ્કેલી ઉભી કરવા માંગે છે. તે કારાકોરમની નજીકના વિસ્તારોમાં કબ્જો કરવા માંગે છે, જેથી પાકિસ્તાન જતા હાઈવે પર રસ્તો મળી જાય. ભારતે આ પ્રોજેકટના નિર્માણને રોક્યું હતું. જોકે આ પહેલા જ ચીન અને ભારતની વચ્ચે ગલવાન ઘાટી, પૈંગોગ સો અને હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં તણાવ ચાલુ છે.
ચીને ગલવાન ઘાટીમાં મોટી સંખ્યામાં સૈન્ય કેમ્પ બનાવી લીધા હતા
લદ્દાખની ગલવાન ઘાટીમાં 10 દિવસ પહેલા ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ એક સેટેલાઈટ ઈમેજે નવો ખુલાસો કર્યો છે. આ હાઈ રિઝોલ્યુશન ઈમેજમાં ગલવાન નદીની આસપાસ લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ(એલએસી)ના બંને અને ચીનની સેનાના ઘણા નિર્માણ કે કેમ્પ્સ સ્પષ્ટ દેખાય છે. રિપોર્ટ્સમાં આ દાવા સાથે જોડાયેલી તસ્વીર બહાર પાડવામાં આવી છે. ગલવાન ઘાટીમાં 15 જૂનની રાતે હિંસક ઝડપમાં આપણા 20 જવાનો શહીદ થઈ ગયા હતા, જ્યારે ચીનના કમાન્ડિંગ અધિકારી સહિત લગભગ 40 સૈનિકોના મોત થયા હતા.
રિટાયર્ડ મેજર જનરલ રમેશ પધીએ સેટેલાઈટ ઈમેજ પર કહ્યું કે ચીને ગલવાન ઘાટીમાં સંપૂર્ણ પ્લાનિંગની સાથે સેનાની ગાડીઓ અને અન્ય સામાન ભેગો કર્યો હતો. જેથી તે લાંબા સમય સુધી અહીં જ પડ્યો રહે.
નવી સેટેલાઈટ ઈમેજમાં શું છે ?
આ હાઈ રિઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજ ગલવાન ઘાટીના પેટ્રોલ પોઈન્ટ-14ની છે. 22 મેના રોજ લેવામાં આવેલી ઈમેજમાં ગલવાન ઘાટીમાં એલએસીની નજીક માત્ર એક ટેન્ટ દેખાઈ રહ્યો છે. જોકે તે પછી લેવામાં આવેલી ઈમેજમાં એલએસીની પાસે ચીનની સેનાની ઉપસ્થિતિ અને તેનું બાંધકામ સ્પષ્ટ દેખાય છે. જોકે તે 15 જૂને થયેલી હિંસક અથડામણ બાદ ગુમ થઈ ગઈ. પછીથી 16 જૂને લેવામાં આવેલી અન્ય તસ્વીરમાં ચીનના બુલ્ડોઝર પણ દેખાયા હતા.
વડાપ્રધાન મોદીના નિવેદન પર વિવાદ
ગલવાન ઘાટીમાં સીમા વિવાદ અને 20 જવાનો શહીદ થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 જૂન ઓલ પાર્ટી મીટિંગ બોલાવી હતી. તેમાં વડાપ્રધાને કહ્યું હતું કે ભારતીય સીમામાં કોઈ પણ જગ્યાએ કોઈ સેનાનો કબ્જો નથી. પછીથી કોંગ્રેસ સહિતના વિપક્ષોએ તેમની પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જોકે પછીથી સરકારે સ્પષ્ટતા કરી હતી કે વડાપ્રધાનની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. તેઓ એમ કહેવા માંગે છે કે એલએસીની આસપાસ કોઈ પણ જગ્યાએ ચીનના સૈનિકોની ઉપસ્થિતિ નથી. ભારતીય જવાનોની કટિબદ્ધતાથી જ આ વાત શકય બની છે.