- રેલીનું પ્રસ્થાન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું
- કોંગ્રેસ વોટબેંકની રાજનિતી કરે છેઃ CM રૂપાણી
- રેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
સુરત: વરાછાના મીની બજાર સરદાર સમૂર્તિ ભવન નજીકથી સીએએના સમર્થનમાં શહેર ભાજપના નેતૃત્વમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. જેમાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટર હિનાબેન ચૌધરીના આજે લગ્ન હોવાથી વિધિ ચાલે છે. દરમિયાન તેણી સીએએને સપોર્ટ કરવા રેલીમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ રેલીના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કાશ્મીરમાં આજ દિવસ સુધી તમે લોકોએ આતંકવાદીઓને બિરયાની ખવડાવી તમે આતંકવાદીઓ સાથે ઈલુ ઈલુ કર્યું છે અને આ દેશને નબળો કર્યો છે.
દેશના ટૂકડા ટૂકડા કરવાવાળા વિરોધ કરી રહ્યા છે
વરાછા મીની બજારથી સીએએમા સમર્થનમાં યોજાયેલી રેલીનું પ્રસ્થાન મુખ્યમંત્રી રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સીએમ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં સીએએને સપોર્ટ કરતા બેનરો સાથે લોકો જોડાયા હતા અને રેલીમાં ભારત માતા કી જયના નારાઓ લગાવવામાં આવ્યા હતા. રેલીમાં મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલના સાનિધ્યમાં આજે સીએએના સમર્થનામાં રેલી યોજાઈ છે. ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા ઘોષણપત્રમાં જે સીએએ, 370ની કલમ જેવા વાયદોઓ કર્યા તે તમામ પૂર્ણ કર્યા છે. સીએએના વિરોધીઓને આ રેલી જવાબરૂપ છે. આ દેશના ટુકડા ટુકડા થાય તે માટે કોંગ્રેસ અને અન્ય વિરોધીઓ સીએએ મુદ્દે ખોટા પ્રચાર, લોકોને ગેરમાર્ગે દોરી મુસલમાનોને આગળ કરી વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ માત્ર વોટબેંકની રાજનિતી કરે છે.
તમે લોકોએ આતંકવાદીઓને બિરયાની ખવડાવી
વધુમાં જણાવ્યું હતું કે, મારે કોંગ્રેસને સીધો સવાલ પૂછવો છે કે, તમે કેટલા વખત લોકશાહીનું હનન કર્યું છે તેનો હિસાબ આપો. 650 દિવસ કટોકટી લગાવીને આ દેશને જેલ બનાવી દેશના તમામ સ્તંભો તોડી નાખ્યા છે. દેશની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તમે વાત કરો છો કે આ દેશમાં વિરોધ કરવો અટલે દેશદ્રોહી કહેવાય તમે વોટબેંકની રાજનિતીના આધાર પર દેશ વિરોધીઓને પ્રોત્સાહન આવ્યું છે તેનો હિસાબ આપો. જેએનયુમાં ભારત તેરા ટુકડા કરેંગે, અફઝલ હમ સરમિંદા હૈ, તેરા કાતીલ જિંદા હૈના સુત્રોચ્ચાર થતા હતા ત્યારે કોના બેસાણામાં ગયા હતા, તમે ક્યાં હતા કોને સમર્થન કરતા હતા, અફઝલ અને તમારા સંબંધ શું હતા તેનો જવાબ આપો. કેરલમાં આતંકવાદીના પોસ્ટર છપાવીને વોટ માંગવા ગયા હતા. બોમ્બેમાં બોમ્બ ધડાકા થયા ત્યારે ક્યા ગયા હતા. આપણા જવાનોએ જે વિરતા પ્રદર્શિત કરી હતી તમે તેની નિંદા કરવા નીકળ્યા હતા. કાશ્મીરમાં આજ દિવસ સુધી તમે લોકોએ આતંકવાદીઓને બિરયાની ખવડાવી, તમે આતંકવાદીઓ સાથે ઈલુ ઈલુ કર્યું છે અને આ દેશને નબળો કર્યો છે. જે ભાષા રાહુલ ગાંધી બોલે છે, જે ભાષા કેજરીવાલ બોલે છે, જે ભાષા મમતા બોલે છે આ બધા ચોર ચોર મોસેરા ભાઈઓ છે, બધા એક સાથે દેશ મજબૂત ન થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે. સીએએમાં અમે વારંવાર કહ્યું છે કે કોઈનું નાગરિકત્વ લેવાની વાત નથી નાગરિકત્વ આપવાની વાત છે.
રેલીનું હીરાબાગ સર્કલ પર સમાપન
વરાછાના મીની બજારથી શરૂ ખનાર રેલીનું હીરાબાગ સર્કલ પર સમાપન કરાશે. સીએએના સમર્થનમાં અઠવાગેટ બાદ બીજી સૌથી મોટી શહેરમાંથી રેલી યોજાઈ છે. જેમાં મુખ્યમંત્રી રૂપાણી, પ્રભારી કૌશિક પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. સીએમની હાજરીના કારણે રેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વરાછાને સરકારી કોલેજ ક્યારેના બેનર લાગ્યા
સીએએના સમર્થનમાં રેલીના વરાછા વિસ્તારમાં ઠેર ઠેર બેનર લગાવવામાં આવ્યા છે. જ્યારે તેની જ નીચે મીની બજાર વિસ્તારમાં વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ ક્યારેના સવાલ મુખ્યમંત્રીને કરતા બેનરો લગાવવામાં આવ્યા હતા.