રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ આજે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યાં બાદ આરતી ઉતારી હતી. આ પ્રસંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેયર બીજલ પટેલ પણ હાજર રહ્યા હતા. જોકે મંદિરમાં કોઇપણ ભક્ત હાજર નહોતા.
રથયાત્રાને લઇને CM, મહંત અને ટ્રસ્ટી વચ્ચે બંધ બારણે બેઠક મળી
રથયાત્રા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ, પોલીસ કમિશનર આશિષ ભાટિયા, મહંત દિલીપદાસ મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા વચ્ચે બંધ બારણે યોજાયેલી બેઠક પૂર્ણ થઇ ગઇ છે. રથયાત્રામાં લોકો દર્શન કરી શકશે કે, નહીં તેમજ મંદિરની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આવતીકાલે રથયાત્રા માત્ર મંદિરમાં પરિસરમાં જ નીકળશે
આવતીકાલે અષાઢી બીજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા માત્ર મંદિરમાં પરિસરમાં જ નીકળશે. ભગવાનના રથને મંદિરમાં 7 વખત પ્રદક્ષિણા કરાવવામાં આવશે અને ત્રણેય રથને વારાફરતી મંદિર પરિસરમાં લાવીને પરિક્રમા કરવામાં આવશે. જોકે મંગળા આરતી અને પહિંદ વિધિ સહિતની વિધિઓ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના મનાઇ હુમક બાદ 143 વર્ષમાં પહેલી વાર ભગવાનની રથયાત્રા નગરચર્યાએ નહીં નીકળે. જોકે અમદાવાદ શહેરમાં રથયાત્રા યોજાય તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અપીલ થઈ છે.