ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી મેચમાં કન્કશન સબસ્ટિટ્યુટ જોવા મળ્યો હતો. અને તેના પર હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને ટીમ ઈન્ડિયાની પણ ટીકા થઈ રહી છે, મેચ હાર્યા પછી પણ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર પણ આ નિર્ણયથી નાખુશ જોવા મળ્યા હતા. ત્યાર બાદ હવે સુનીલ ગાવસ્કરે કન્કશન સબસ્ટિટ્યુટ અંગે ટીમ ઈન્ડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી T20 મેચમાં શિવમ દુબેના હેલ્મેટ પર બોલ વાગ્યો હતો. જોકે, દુબેએ અંત સુધી બલ્લેબાજી કરી હતી, પરંતુ ફિલ્ડિંગ દરમિયાન કોન્કશન સબસ્ટિટ્યુટ તરીકે હર્ષિત રાણાને સામેલ કરવામાં આવ્યો હતો. જેના પર વિવાદ ઉભો થયો છે.
…એટલે સ્પષ્ટપણે તેને ઈજા થઈ ન હતી
જેને લઈને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ‘પુણેમાં રમાયેલી મેચમાં હેલ્મેટ પર બોલ વાગ્યા પછી પણ દુબેએ અંત સુધી બેટિંગ કરી હતી. એટલે સ્પષ્ટપણે તેને ઈજા થઈ ન હતી. તેથી, ઈજાને કારણે અવેજી ખેલાડીને મંજૂરી આપવી યોગ્ય ન હતી. હા, જો બેટિંગ કરતી વખતે તેને સ્નાયુઓમાં ખેંચાણ આવી હોત તો, તે એક વિકલ્પ હોઈ શકે છે, પરંતુ તે માત્ર ફિલ્ડિંગ માટે હોત અને તે બોલિંગ કરી શક્યો ન હોત.’
ગાવસ્કરનું માનવું છે કે, ‘શિવમ દુબે અને હર્ષિત રાણા એક જેના ખેલાડી નથી અને આ નિર્ણયથી ઇંગ્લેન્ડ ગુસ્સે અને નિરાશ થાય તે યોગ્ય છે. ગાવસ્કરે ભારતીય ટીમને ખખડાવતાં કહ્યું કે તેઓ એક શાનદાર ટીમમાંથી છે અને આ પ્રકારની હરકતો કરીને તેમની છબી ખરાબ કરવાની જરૂર નથી.’