મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના મુરુંબા ગામમાં 800થી વધુ મરઘીઓનાં મૃત્યુ બર્ડ ફ્લૂને કારણે થયાં છે. સેમ્પલના તપાસ રિપોર્ટ દ્વારા સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ તરફ રાજધાની દિલ્હીમાં પણ બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. દિલ્હી સરકારના પશુપાલન વિભાગના જણાવ્યા મુજબ, 8 કાગડા અને બતકના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
કૃષિ બાબતોની સંસદીય સમિતિએ આજે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના અધિકારીઓની બેઠક બોલાવી છે. બેઠકમાં પશુચિકિત્સા સેવાઓની સ્થિતિ અને પશુઓની વેક્સિનની ઉપલબ્ધતા વિશે ચર્ચા કરવામાં આવશે.
દિલ્હી: 118 પક્ષી મૃત્યુ પામ્યાં
દિલ્હી વિકાસ ઓથોરિટીનાં જુદાં જુદાં ઉદ્યાનોમાં રવિવારે 91 કાગડા અને 27 બતકનાં મોત નીપજ્યાં હતાં. સંજય તળાવ પાસે આ વિસ્તારોને અલર્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર: મુખ્યમંત્રીએ બેઠક બોલાવી
મહારાષ્ટ્રના પરભણી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મુરુંબા ગામે 8000 પક્ષીને મારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગામના 10 કિમી વિસ્તારમાં ચિકનના ખરીદ-વેચાણ પર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગામના લોકોની મેડિકલ તપાસ પણ કરાશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બર્ડ ફ્લૂની સમીક્ષા માટે બેઠક બોલાવી છે.
અત્યારસીધીમાં આ 9 રાજ્યમાં પહોંચ્યો બર્ડ ફ્લૂ
1. કેરળ
2. રાજસ્થાન
3. મધ્યપ્રદેશ
4. હિમાચલ પ્રદેશ
5. હરિયાણા
6. ગુજરાત
7. ઉત્તરપ્રદેશ
8. મહારાષ્ટ્ર
9. દિલ્હી
દેશમાં કોરોનાનું સંકટ હજી સુધી ટળ્યું નથી ત્યાં બર્ડ ફ્લૂનું સંકટ વધતું જઈ રહ્યું છે. દેશમાં અત્યારસુધીમાં ગુજરાત સહિત 9 રાજ્યમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. નવા રાજ્યમાં ઉત્તરપ્રદેશ છે, જ્યાં કાનપુરના ચકલીઘરમાં મૃત પક્ષીઓનાં સેમ્પલ પોઝિટિવ મળી આવતાં લખનઉ સુધી ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઉપરાંત રાજધાની દિલ્હીમાં પણ બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. અગાઉ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને કેરળમાં બર્ડ ફ્લૂના પુષ્ટિ કરવામાં આવી હતી.
કાનપુર પક્ષીઘરમાં બર્ડ ફ્લૂ
ઉત્તરપ્રદેશના કાનપુરથી બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે, જ્યાં ચકલીઘરમાં ચાર મરેલાં પક્ષીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાર બાદ પક્ષીઘરને સીલ કરવામાં આવ્યું છે. કાનપુર પક્ષીઘરમાં છેલ્લા બે દિવસમાં 10 પક્ષી મૃત્યુ પામ્યાં છે. તંત્ર દ્વારા પક્ષીઘરનાં તમામ પક્ષીઓને મારવામાં આદેશ આપવામાં આવ્યા છે. કાનપુર તંત્રએ સમગ્ર વિસ્તારને રેડ ઝોન જાહેર કર્યો છે અને કોઈપણ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
અલર્ટ પર લખનઉ પક્ષીઘર
કાનપુરની અસર રાજધાની લખનઉમાં પણ જોવા મળી રહી છે, અહીં સૌથી મોટી ચિંતા લખનઉ પ્રાણીસંગ્રહાલયની છે. બર્ડ ફ્લૂનો અવકાશ વધ્યા બાદ નવાબ વાજીદ અલી શાહ પ્રાણીસંગ્રહાલય અલર્ટ પર છે. ઝૂનાં તમામ પક્ષીઓના રહેણાક વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે. અંદર-બહાર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, પક્ષીઓના ખાવામાં પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે. સાવચેતીના પગલા તરીકે વિટામિન અને મિનરલના વપરાશમાં વધારો કરવામાં આવ્યો હતો.
MPના 9 જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ
મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લૂની પુષ્ટિવાળા જિલ્લાઓમાં સંક્રમણ વધતું જઈ રહ્યું છે. મંદસોર અને નીમચમાં પણ બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. સરકાર દ્વારા એને અટકાવવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઈન્દોરના એક મરઘા ફાર્મમાં 450 જેટલી મરઘીઓને મારી નાખવામાં આવી છે. અત્યારસુધીમાં રાજ્યના નવ જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ચૂકી છે, જેમાં ઈન્દોર, મંદસોર, આગાર-માલવા, નીમચ, દેવાસ, ઉજ્જૈન, ખંડવા, ખરગોના અને ગુના જિલ્લો સામેલ છે.
રાજસ્થાનના 11 જિલ્લા બર્ડ ફ્લૂની ઝપેટમાં
25 ડિસેમ્બરે પહેલીવાર રાજસ્થાનના ઝાલાવાડથી પક્ષીઓનાં મૃત્યુના પ્રથમ સમાચાર સામે આવ્યા હતા. હવે રાજસ્થાનના 11 જિલ્લા બર્ડ ફ્લૂની ઝપેટમાં છે, જેમાં સવાઈ માધોપુર, પાલી, દૌસા અને જેસલમેરનો પણ સમાવેશ થાય છે. સવાઈ માધોપુરમાં મૃત કાગડામાંથી બર્ડ ફ્લૂનો એચ 5 સ્ટ્રેન મળ્યો છે. જિલ્લામાં અત્યારસુધીમાં 70 પક્ષી મોતને ભેટ્યાં છે, જેમાં કાગડા, મોર સહિતનાં પક્ષીઓ સામેલ છે. સવાઈ માધોપુરમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થતાં રણથંભોર વન વિભાગ અલર્ટ પર છે.