રાજકોટમાં આગામી 1 અને 2 જૂનના રોજ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે બાગેશ્વરધામ સમિતિ દ્વારા રાજકોટ કાર્યાલયનું ગઈકાલે રાત્રિના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ તેમજ અલગ અલગ સમાજના શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓ જોડાયા હતા. જો કે, તેમાં પણ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે પોતાના સોશિયલ મીડિયામાં બે પોસ્ટર શેર કરી ધીરેન્દ્ર શાસ્ત્રીને બીજેપી બાબા સાથે સરખાવતાં વિવાદ સર્જાયો છે.
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગામી 1 અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય દરબારને લઇ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે ગઈકાલે બાગેશ્વરધામ સમિતિના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ તેમજ સંતો-મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓ જોડાયા હતા. આમ છતાં કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતની એક પોસ્ટે વિવાદ છેડયો છે. તેમને પોતાની પોસ્ટમાં બે પોસ્ટર શેર કરી ધીરેન્દ્ર શાસ્ત્રીને બીજેપી બાબા તરીકે સંબોધી વિરોધ નોંધાવ્યો છે.
આ અંગે કોંગી નેતા હેમાંગ વસાવડા કે જેઓ ગઈકાલે ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા અને પોતે વ્યવસાયથી ડોક્ટર પણ છે, તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાનજીના ઉપાસક છે અને ધર્મપ્રચારક છે. તો તેના કાર્યાલયના પ્રારંભમાં મને આમંત્રણ હતું અને હું ગયો હતો. કોઈ પણ રોગમાં અંધશ્રદ્ધાને બદલે તબીબ પાસે જવું જોઈએ એ મારો મત છે. જો કે, ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દિવ્ય દરબારમાં ક્યારે નરેન્દ્ર મોદી કે અમિત શાહ અથવા ભાજપનો પ્રચાર કર્યો હોઈ તેવું મારા ધ્યાનમાં આવ્યું નથી.