ગુજરાતમાં પેટા ચૂંટણીની જાહેરાત બાદ તમામ પાર્ટીઓએ કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ તરફથી સાત અને કૉંગ્રેસ તરફથી પાંચ બેઠક માટે ઉમેદવારના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે કૉંગ્રેસને પેટા ચૂંટણી પહેલા જ ફટકો પડ્યો છે. કોંગ્રેસે અબડાસાની પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે ડો.શાંતિલાલ સેંગાણીના નામની જાહેરાત કરી છે. ત્યારે નારાજ થયેલા કોંગ્રેસના પ્રવક્તા કૈલાશ ગઢવીએ રાજીનામુ આપ્યું છે.
અબડાસાના કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓએ કૈલાસ ગઢવીને ટિકિટ આપવાની માંગ કરી હતી. ત્યારે કૈલાસ ગઢવીને ટિકિટ ન મળતાં તેઓએ પક્ષમાંથી અને પાર્ટીની અન્ય જવાબદારીઓમાંથી રાજીનામું આપ્યું છે.
સોમવારે કોંગ્રેસ પાર્ટીએ પાંચ બેઠક માટે ઉમદેવારના નામની જાહેરાત કરી છે. જેમાં કચ્છની અબડાસા બેઠક પરથી શાંતિલાલ સાંઘાણીને ટિકિટ આપી છે. જે બાદમાં નારાજ થઈને કૉંગ્રેસ નેતા કૈલાસદાન ગઢવીએ પ્રોફેસનલ પ્રમુખ પદ પરથી રાજીનામું ધરી દીધું છે. રાજીનામું ધરી દીધા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “મને લાગે છે કે સારા ઉમેદવારોની રાજકારણમાં જરૂર નથી. પાર્ટીએ અબડાસા બેઠક માટે ટિકિટ આપી દીધી છે. હવે આ મામલે કોઈ ચર્ચાને સ્થાન નથી.
વધુ તેમણે જણાવ્યું હતું કે, 2017માં મારું નામ છેક સુધી નક્કી હતું. જે બાદમાં પાર્ટીએ મને ટિકિટ આપી ન હતી. મારે હવે આરામ કરવો છે.” આ મામલે વાતચીત કરતા શાંતિલાલ સાંઘાણીએ જણાવ્યું હતું કે, “મેં ક્યારેય પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી નથી. હું 1986ના વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે અડીખમ છું.”
નોંધનિય છે કે, જિલ્લા પંચાયતના કેટલાક વર્તમાન અને પૂર્વ ચુંટાયેલા સદસ્યો કૈલાસ ગઢવીના સમર્થકો છે. તેઓએ કૈલાસ કઢવીને ટિકિટ આપવા માટે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સાથે વાત કરી હતી. 2017ની ચૂંટણીમાં પણ કૈલાસ ગઢવીની પક્ષ દ્વારા અવગણના થઇ હતી, અને ફરી એકવાર પેટાચૂંટણીમાં પણ અવગણના થતાં તેઓએ પક્ષને રાજીનામું આપ્યું છે.