લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ‘શેહજાદા’ની ઉંમર કરતાં પણ ઓછી બેઠક મળશે અને ચૂંટણી પછી તે વિરોધ પક્ષનો દરજ્જો પણ મેળવી નહીં શકે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના કંધમાલમાં કહ્યું હતું. આ સાથે તેમણે ઓડિશાની ‘અસ્મિતા’ જોખમમાં હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું કે ભાજપ જ તેનું રક્ષણ કરી શકશે. વધુમાં તેમણે જગન્નાથ મંદિરના ‘શ્રી રત્ન ભંડાર’નો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.ઓડિશાની કંધમાલ, બોલણગિર અને બારગઢ લોકસભા બેઠકમાં ચૂંટણી સભાને સંબોધન કરતાં પીએમ મોદીએ દાવો કર્યો કે, ચૂંટણી પરીણામો પછી કોંગ્રેસ લોકસભામાં વિપક્ષનો દરજ્જો મેળવવા માટે જરૂરી ૧૦ ટકા બેઠકો પણ મેળવી નહીં શકે.
તેઓ ૫૦ બેઠકો પણ જીતી નહીં શકે. કોંગ્રેસના શેહજાદા ૨૦૧૪ની ચૂંટણીથી એક જ ભાષણ વાંચી રહ્યા છે. પરંતુ તમે લખી લો આ વખતે એનડીએ વિક્રમી ૪૦૦થી વધુ બેઠકો લાવશે.તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસના શેહજાદા આજકાલ બંધારણ માથા પર મૂકીને નાચી રહ્યા છે. પરંતુ ૨૦૧૩માં મનમોહન સિંહની કેબિનેટે નિર્ણય કર્યો તો શેહજાદાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કેબિનેટના નિર્ણયની નકલને ફાડીને તેના ટૂકડા કરી નાંખ્યા. આ ટુકડા કાગળના નહોતા, પરંતુ બંધારણના હતા. બીજીબાજુ ૨૬ વર્ષ અગાઉ આજના જ દિવસે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપ સરકારે પોખરણ પરીક્ષણો કરીને દુનિયામાં ભારતને ગૌરવ અપાવ્યું હતું. દરમિયાન ઓડિશામાં વિધાનસભાની પણ ચૂંટણી યોજાવાની છે ત્યારે મોદીએ દાવો કર્યો હતો કે બીજુ જનતા દળ (બીજેડી)ના શાસનમાં ઓડિશાની ‘અસ્મિતા’ જોખમમાં છે અને ભાજપ જ તેનું રક્ષણ કરી શકશે. તેમણે ઉમેર્યું આજે સવારે જ જગન્નાથ મંદિરના સંચાલન સાથે સંકળાયેલ સંવેદનશીલ વિષય દેશ અને ઓડિશા સામે રજૂ કર્યો છે. જગન્નાથ મંદિરના શ્રી રત્ન ભંડારમાં અખૂટ ધન-દોલત છે. પરંતુ છેલ્લા ૪૦ વર્ષથી તેની સાચી સ્થિતિ સામે નથી આવી રહી. અગાઉ નિયમિતરૂપે શ્રી રત્ન ભંડારની સંપત્તિની ગણતરી થતી હતી. પરંતુ છેલ્લા છ વર્ષથી શ્ર રત્ન ભંડારની ચાવીઓ ગાયબ છે. આ ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે ન્યાયિક પંચની રચના કરી છે, પરંતુ તેનો રિપોર્ટ જાહેર કરાયો નથી. હું ઓડિશાના લોકોને વચન આપું છું કે રાજ્યમાં ભાજપની સરકાર બન્યા પછી શ્રી રત્ન ભંડારની ભવ્યતા પાછી લાવીશ.