મહેસાણાના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે મહેસાણા નગરપાલિકામાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતાં કર્મચારીઓને તેમની નિમણુંકના પાંચ વર્ષ પૂર્ણ થયેલ હોવાથી આયોજીત “નિયમિત પગાર ધોરણના નિમણુંક પત્ર અર્પણ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. જેથી રાજ્યની હોસ્પિટલોમાં હવે 50 ટકા બેડ ખાલી પડ્યાં છે. રાજ્યમાં હવે ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તેમણે કહ્યું હતું કે લોકો હવે જાતે જ નિયમો પાળી રહ્યાં છે. હાલમાં ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ પણ અમલમાં છે. જેથી કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. આપણે ચૂસ્તપણે નિયમો પાળીને હજી સંક્રમણને નીચું લાવીશું અને કોરોનાના કેસમાં મોટો ઘટાડો થાય તેવા પ્રયત્નો કરીશું.
હાલમાં કોરોના સંક્રમણમાં રાજ્યની સ્થિતિ…
રાજ્યમાં 24 કલાકમાં 60 હજાર 523 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1,223ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ 13 દર્દીના મોત થયા છે અને 1,403 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સતત આઠમા દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિકવરી રેટ 92.11 ટકા થયો છે.
13,627 એક્ટિવ કેસ, 71 વેન્ટિલેટર પર, અત્યાર સુધીમાં 2 લાખ 7 હજાર 529 દર્દી ડિસ્ચાર્જ…
રાજ્યમાં અત્યાર સુધીમાં 85 લાખ 53 હજાર 164 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 25 હજાર 304ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,148એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 7 હજાર 529 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 13,627 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેન્ટિલેટર પર જ્યારે 13,556 દર્દીની હાલત સ્થિર છે.
21 નવેમ્બરથી અત્યાર સુધી 12 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા…
અત્યાર સુધીમાં ગુજરાતમાં 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515, 24 નવેમ્બરે 1510, 25મી નવેમ્બરે 1540, 26 નવેમ્બરે 1560, 28 નવેમ્બરે 1598, 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ, 28 નવેમ્બરે 1598 અને 29 નવેમ્બરે 1564 કેસ, 30 નવેમ્બરે 1502, 2 ડિસેમ્બરે 1512, 3 ડિસેમ્બરે 1540 4 ડિસેમ્બરે 1510 અને 5 ડિસેમ્બરે 1514 કેસ નોંધાયા હતા.