સુરત. શહેરમાં એક કોરોના દર્દીના બારોબાર અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યા હોવાની ઘટનાનો વિવાદ હજુ ચર્ચામાં જ છે. ત્યારે વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં એક વૃદ્ધાને કોવિડ-19 હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસથી દાખલ કરાયેલા હતા. જેમનું મોત થતા પરિવારજનોએ ડોક્ટરોની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો છે. આ આક્ષેપ કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
દાખલ કર્યાના 10માં દિવસે રિપોર્ટ કરાયો અને નેગેટિવ આવ્યો હોવાનો આક્ષેપ
વાઈરલ થયેલા વીડિયો પ્રમાણે, વૃદ્ધાના પુત્રએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, વૃદ્ધાને 10 દિવસ સુધી કોવિડ-19માં પોઝિટિવ દર્દીઓના વોર્ડમાં દાખલ કરાયા હતા. ત્રણ દિવસ સુધી ઇન્જેક્શન આપી બેભાન રખાયા હતા. ત્યારબાદ 10માં દિવસે રિપોર્ટ કાઢવામાં આવ્યો છે. રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને વૃદ્ધાનું મૃત્યુ થયું તો ડોક્ટર કહે છે કે, એમનું મૃત્યુ હૃદય રોગના હુમલામાં થયું છે. વૃદ્ધાને વેન્ટિલેટર પર રખાયા હતા પણ વેન્ટિલેટર લોવર રાખ્યું હતું જ્યારે હાઈ પર રાખવાની જરૂર હોય છે. 3 વાગે મોત થયું અને 6:30 વાગ્યે પરિવારને જાણ કરાઈ હતી. આટલી ગંભીર બેદરકારીમાં સુરત સિવિલ હોસ્પિટલની કોવિડ 19 હોસ્પિટલ ચાલતી હોવાનો વીડિયો વાઇરલ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જ્યારે વીડિયો બનાવનારના પરિવારના વૃદ્ધાનું મોત થતા પરિવાર ખૂબ જ દુઃખી છે.