ગાંધીનગરમાં કોરોનાની સ્થિતિ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. તેનો પુરાવો સેક્ટર-30ના મુક્તિધામમાંથી મળે છે. મુક્તિધામમાં 10 દિવસથી 24 કલાક અંતિમ વિધિ ચાલુ રહેતાં સીએનજીની એક ભઠ્ઠીના દરવાજાની એંગલ પીગળી ગઈ છે અને દરવાજાનું સ્લાઇડર ચોંટી ગયું છે. આથી એક ભઠ્ઠીનો દરવાજો બંધ ન થતાં અંતિમવિધિ હાલ પૂરતી બંધ રાખવી પડી છે. મુક્તિધામમાં 10 દિવસમાં કોવિડના 40 સહિત 60 જેટલા મૃતદેહ આવી રહ્યા છે.
કોવિડના મૃતકોના સીએનજીની 2 ભઠ્ઠીમાં અગ્નિસંસ્કાર કરાય છે પરંતુ અઠવાડિયાથી કોવિડના દર્દીઓનાં મોત વધતાં સીએનજીની બંને ભઠ્ઠીમાં 24 કલાક અગ્નિસંસ્કાર કરાય છે. અગ્નિસંસ્કારની વિધિ માટે ડાઘુઓને રાહ જોવી ન પડે તે માટે મુક્તિધામમાં કામચલાઉ લાકડાની 2 ભઠ્ઠી શરૂ કરાઈ છે.
ગેસની પાઇપને ઠંડી રાખવાની પાણીની પાઇપ પણ પીગળી ગઈ
સતત 24 કલાક ગૅસ ચાલુ રહેવાથી તેની પાઇપલાઇન ઠંડી રાખવા માટે સતત પાણીનો સપ્લાય અપાઈ રહ્યો છે. જોકે પાણીની પાઇપ લાઇન ભઠ્ઠીથી દસેક ફૂટ દૂર હોવા છતાં તે પીગળી જતાં નવી નાખવી પડી હતી.
બુધવારે 7 મૃતદેહ વેઇટિંગમાં
મુક્તિધામમાં બુધવારે ધસારો રહેતાં સીએનજી ભઠ્ઠીમાં 6 મૃતદેહ અગ્નિસંસ્કાર માટે વેઇટિંગમાં હતા જ્યારે લાકડાની ભઠ્ઠીમાં 1 મૃતદેહ વેઇટિંગમાં હતો. આથી ડાઘુઓને 3થી 4 કલાક રાહ જોવી પડી હતી
ભઠ્ઠીની દીવાલોમાં તિરાડ પડી ગઈ.
10 દિવસથી સીએનજીની બંને ભઠ્ઠીમાં 24 કલાક અગ્નિસંસ્કારની વિધિ ચાલતી હોવાથી ભઠ્ઠીની દીવાલો સતત ગરમ રહેવાથી તિરાડો પડી ગઈ છે. ોજોકે હાલમાં અગ્નિસંસ્કારની વિધિ ચાલતી હોવાથી ભઠ્ઠી ઠંડી પડે ત્યારે રિપેરિંગ કરાશે, તેમ મુક્તિધામનાં સૂત્રોએ જણાવ્યું છે.