કન્ટ્રોલરૂમમાં ફરજ બજાવતા 8 પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ
લોક ડાઉનના શરૂઆતથી જ સમગ્ર રાજ્યમાં પોલીસ કર્મચારીઓ પોતાના જીવ કે પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ ખડે પગે ફરજ નિભાવી રહ્યા છે. જોકે પોલીસ કર્મચારી ઓમાં પણ કોરોનાનું સંક્રમણ જોવા મળતા ચિંતાનો માહોલ સર્જાયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં એકસાથે 8 કર્મીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ 8 કર્મીઓ કંટ્રોલરૂમમાં પોતાની ફરજ બજાવતા હતા. એક સાથે 8 પોલીસકર્મીઓ પોઝિટીવ આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે.
મળતી વિગત મુજબ, જે 8 પોલીસકર્મીઓ પોઝિટીવ આવ્યા છે તેઓ એક જ શિફ્ટમાં ફરજ બજાવતા હતા. જેને લઈને તંત્ર સજાગ થઈ ગયું છે. હવે તંત્ર દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી રહી છે.
રામોલ પોલીસ સ્ટેશનમાં પાંચ જેટલા પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે ગઈકાલે રામોલ પોલીસસ્ટેશનમાં પણ પાંચ જેટલા પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં ૨૪૫ જેટલા પોલીસ કર્મચારીઓની સારવાર કરીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે કોરોના પોઝિટિવ એવા 56 પોલીસ કર્મીઓની હાલમાં સારવાર ચાલી રહી છે. જેમાં ૪૫ પોલીસ કર્મચારી અને 18 કર્મચારી અન્ય ફોર્સ સાથે જોડાયેલા છે.
કોરોના પોઝિટિવ પોલીસ કર્મચારીને સારવાર લેવામાં કોઈ તકલીફ ના પડે તે માટે નરોડાની શેલબી હોસ્પિટલ ફાળવવામાં આવી છે. જ્યાં તમામ પોલીસ કર્મચારીઓની સારવાર કરવામાં આવશે.
જણાવી દઈએ, અમદાવાદમાં 9724 કોરોના પોઝિટવ કેસ નોંધાયા છે જેમાંથી 645 લોકોના મોત થઈ ચુક્યા છે. 3658 પેશન્ટ સાજા થઈ ગયા છે. ગુજરાતમાં 13268 કેસ છે જેમાંથી 802ના મોત થઈ ચુક્યા છે જ્યારે 5880 લોકો સાજા થઈ ચુક્યા છે.