કોરોના વોરિયર્સ તરીકે નવસારીની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે આપઘાત કરી લીધો છે. વિજલપોરમાં પોતાના ઘરે જ ફાંસો ખાઈને 28 વર્ષીય નર્સે આપઘાત કરી લીધો છે. વિજલપોરની જલારામ સોસાયટીમાં રહેતી મેઘા રાજેન્દ્રભાઈ આચાર્યના આપઘાતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પાંચ પાનાંની સુસાઇડ નોટ પોલીસે જપ્ત કરી છે. પરિવારના સભ્યોએ દીકરીના આપઘાત પાછળ સિવિલ હોસ્પિટલમાં ડ્યૂટી દરમિયાન ત્રાસ અપાતો હોવાના આક્ષેપ કર્યા છે, સાથે જ દીકરીને આપઘાત કરવા મજબૂર કરનારા સામે કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાનો પરિવારે નિર્ણય કર્યો છે. હાલ મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ માટે રાખવામાં આવ્યો છે. સમગ્ર આપઘાતપ્રકરણમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાત્રિના સમયે આપઘાત કર્યો
વિજલપોર શહેરમાં આવેલી જલારામ સોસાયટીમાં રહેતી 28 વર્ષીય નર્સે પોતાના ઘરે જ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મૃતક નર્સ નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી હતી. આચાર્ય મેઘા રાજેન્દ્રભાઈ નવસારી સિવિલ હોસ્પિટલમાં સેવા આપતી હતી. એ દરમિયાન તેણે અગમ્ય કારણોસર ઘરમાં 5 પાનાંની સુસાઈડ નોટ લખી મોડી રાતે આત્મહત્યા કરી છે. આ ઘટનાની જાણ થતાં વિજલપોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે.
પરિવારે આક્ષેપ કર્યો
નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ નર્સ આચાર્ય મેઘા રાજેન્દ્રભાઈના પરિવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ડ્યૂટી દરમિયાન મેઘાને સતત ત્રાસ આપવામાં આવતો હતો, જેને પગલે આ દીકરીને આત્મહત્યા કરવી પડી છે. આ આપઘાત માટે જ્યાં સુધી જવાબદારો સામે પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારશું નહીં.
કોઈ દબાણ હતુ નહી-હોસ્પિટલ
નવસારી સિવિલ હોસ્પિટલના ડો. શાહે જણાવ્યું હતું કે, મેઘા બહેન બહુ સારૂં કામ કરતાં હતાં. તેમના અપમૃત્યુની પોલીસ તપાસ કરી રહી છે. હોસ્પિટલમાં કોઈ દબાણ હતું નહીં. નર્સ અને સ્ટાફ તથા ડોક્ટર પણ કોરોના કામગીરીમાં જોડાયેલા છે. ડ્યુટી બધાની બદલાતી રહેતી. રોટેશન પ્રમાણે વીકઓફ પણ મળે છે. દર્દીઓની સંખ્યા ઘટતા હવે કોવિડથી નોન કોવિડની પણ કામગીરી ચાલી રહી છે. પરિવારના આક્ષેપો છે તેની પોલીસ તપાસ કરી રહી છે. અમારા સ્ટાફમાં સુમેળ હતો. તેમના કોઈ ડોક્ટર વિષે અંગત સંબંધો હોવાનો પણ ડોક્ટર શાહે ઈન્કાર કર્યો હતો.