દેશમાં વધતા સંક્રમણ વચ્ચે હવે ચિંતાનો મોટો વિષય કોરોનાનું ડબલ મ્યૂટેશન વેરિયેન્ટ બની ગયો છે. વિજ્ઞાનીઓ માને છે કે દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા સંક્રમણ પાછળ કોવિડ-19નો બી-1.617 વેરિયેન્ટ જવાબદાર છે. ચિંતા એટલા માટે પણ વધુ છે, કેમ કે નવો વેરિયેન્ટ શરીરની પ્રતિરોધક ક્ષમતાને ચકમો આપવામાં સક્ષમ છે. પરિવર્તનને લીધે તે માનવીના કોષોને સંક્રમિત કરવા અને ચેપ ફેલાવવામાં સક્ષમ થઈ ગયો છે. પહેલીવાર આ વેરિયેન્ટ ભારતમાં સામે આવ્યો હતો. ખરેખર ભારતમાં પહેલી લહેર નબળી પડ્યા બાદ લાપરવાહી, માસ્ક અને અન્ય સુરક્ષા સાવચેતીઓની અવગણનાને કારણે બીજી લહેર ઝડપથી ફેલાઇ રહી છે.
દિલ્હી-હૈદરાબાદમાં સૌથી વધુ વિદેશી વેરિયન્ટ્સ
ઈન્ડિપેન્ડેન્ટના એક રિપોર્ટ મુજબ, અત્યારસુધી થયેલા અભ્યાસોમાં જાણ થઈ છે કે દેશના મોટા હિસ્સામાં બ્રિટિશ વેરિયેન્ટ બી-1.1.7, દક્ષિણ આફ્રિકાનું બી-1.351 અને બ્રાઝિલનું પી-1 ફેલાયેલું છે. મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, દિલ્હી અને કર્ણાટકમાં મળી રહેલા કુલ સંક્રમિતોમાં આ વિદેશી વેરિયેન્ટ્સનું મોટું યોગદાન છે. તેમ છતાં સૌથી વધુ ચિંતા બી-1.617થી છે. તેને ડબલ મ્યૂટેન્ટ કહેવાય છે. જોકે તેમાં મૂળ વાયરસની તુલનાએ 15 મ્યૂટેશન છે. તેના સ્કાઇપ પ્રોટીનમાં બે ચિંતાજનક મ્યૂટેશન્સ- ઈ484ક્યૂ તથા એલ452આર છે જે મહામારી દરમિયાન બીજે ક્યાંકથી જોડાયા છે. પહેલીવાર એવું છે કે કોઈ વેરિયેન્ટમાં આનુવંશિક પરિવર્તન થયું છે.
એન્ટિબોડી પણ ચકમો આપી શકેઃ વાઇરોલોજિસ્ટ
ભારતમાં કોવિડ જિનોમિક્સ કન્સોર્ટિયમના સભ્ય અને વાઈરોલોજિસ્ટ શાહીદ જમીલ કહે છે કે ઈ484ક્યૂ અને એલ452આર ઝડપથી ફેલાય છે. એ વેક્સિન લઈ ચૂકેલા અને સંક્રમિત થઈ ચૂકેલા લોકોમાં એન્ટિબોડીને પણ ચકમો આપી શકે છે. દેશમાં હાલ એક ટકાથી ઓછા કેસમાં જિનોમ સિક્વન્સિંગ થઈ રહ્યું છે. એવામાં વાસ્તવિક સ્થિતિ સામે નથી આવી રહી. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જિનોમિક્સના પ્રો.અરીસ કેટજોઆર્કિસ કહે છે કે ડબલ મ્યૂટેશન વેરિયેન્ટ સ્થિતિને વધુ બદતર બનાવી શકે છે. એનાથી ઈનકાર ન કરી શકાય કે બી-1.617 એ વ્યક્તિઓને પણ સંક્રમિત કરી શકે છે જેમનામાં વેક્સિનેશન કે સંક્રમણથી એન્ટિબોડી બની ગયા છે.
મહારાષ્ટ્રમાં 3 મહિનામાં 61% કેસ નવા વેરિયેન્ટના
મહારાષ્ટ્રમાં આ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે 61% કેસમાં બી-1.617 વેરિયેન્ટ મળ્યું છે. પંજાબમાં 80% દર્દી બ્રિટિશ વેરિયેન્ટના છે. પ્રો.જમીલ કહે છે કે નવા વેરિયેન્ટના અનેક રાજ્યોમાં ફેલાઈ ગયા છે. બંગાળમાં રેલીઓ ચાલુ છે. કુંભમાં દુનિયાની સૌથી વધુ ભીડ છે. એનાથી સંક્રમણ ફેલાશે. અશોકા યુનિવર્સિટીના પ્રો.ગૌતમ મેનન પણ કહે છે કે ભારતીય વેરિયેન્ટ વધુ ચેપી છે.
અભ્યાસ ખૂબ ઓછા, આપણને ખબર જ નથી કે શું કરવું છે
વેલ્લોર ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ માઈક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. ગગનદીપ કંગ કહે છે કે બી-1.617 વેરિયેન્ટ વિશે અભ્યાસ ખૂબ જ ઓછો અને ધીમો છે. આપણને ખબર જ નથી કે શું કરવું જોઇએ? પહેલી લહેર દરમિયાન આપણે કંઈ કર્યું નહીં અને પછી શાંત બેસી ગયા. બીજી લહેર પછી આપણે ફરી ત્યાં જ ઊભા છીએ. આપણે જે કરવું જોઈએ તે કરી શકી રહ્યા નથી.