કોંગ્રેસના ધારાસભ્ય અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વાડેટ્ટીવારે દાવો કર્યો હતો કે સત્તારૂઢ મહાયુતિના ઓછામાં ઓછા 40 ધારાસભ્યો એક મહિનામાં મહા વિકાસ અઘાડી (MVA)માં જોડાઈ શકે છે. બીજી તરફ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) જૂથના સંજય રાઉતે પણ કહ્યું કે, શિંદે સેનાના સાંસદ અમારા સંપર્કમાં છે, યોગ્ય સમયે પત્તા ખોલવામાં આવશે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસના નેતા વિજય વાડેટ્ટીવારે કહ્યું હતું કે, “મહાયુતિના ઘટક દળ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો આગામી એક મહિનામાં ‘ઘર વાપસી’ માટે કોંગ્રેસ અને NCP (SP)ના સંપર્કમાં છે.”
વાડેટ્ટીવારે કહ્યું, “અમને વિશ્વાસ છે કે મહા વિકાસ અઘાડી – કોંગ્રેસ, શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાનું ગઠબંધન – મહારાષ્ટ્રમાં ફરી સત્તામાં આવશે.” રાજ્યમાં 288 સભ્યોની વિધાનસભા છે. લોકસભાની ચૂંટણીનો ટ્રેન્ડ દર્શાવે છે કે MVA 150 રાજ્ય વિધાનસભા સેગમેન્ટમાં આગળ હતું જ્યારે મહાયુતિએ તેમાંથી 130માં લીડ મેળવી હતી.
વિજય વાડેટ્ટીવારે કહ્યું કે શિવસેના અને એનસીપીના અન્ય દળના 40 ધારાસભ્યોને અહેસાસ થયો કે MVA સત્તામાં આવી રહ્યું છે. તે જ કારણ છે કે તેઓ તેમના પક્ષના નેતાઓને ઘરવાપસી માટે કહી રહ્યા છે. શરદ પવારની આગેવાની હેઠળના એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંતે પણ આ વાતની પુષ્ટિ કરી કે અન્ય સમૂહના કેટલાક ધારાસભ્યોએ પણ આ બાબતે સંકેતો આપેલા છે.
વિજય વડેટ્ટીવારનું આ નિવેદન NCP(SP)ના ધારાસભ્ય રોહિત પવાર દ્વારા કરવામાં આવેલા આવા જ દાવાના થોડા દિવસો બાદ આવ્યું છે. રોહિત પવારે કહ્યું હતું કે અજિત પવારની આગેવાની હેઠળના NCPના લગભગ 19-20 ધારાસભ્યો શરદ પવારના પક્ષમાં પાછા ફરવા માંગે છે.જો કે એનસીપી અને શિવસેનાના નેતાઓએ કહ્યું છે કે તેમના ધારાસભ્યો તેમની સાથે છે. તેમણે NCP (SP)-કોંગ્રેસના દાવાઓને હતાશાના કારણે ફગાવી દીધા હતા.