રાજ્યમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર અને સુરત જિલ્લાના બારડોલીના મઢી બાદ હવે બર્ડ ફ્લૂનો ત્રીજો કેસ વડોદરા ના સાવલીમાં સામે આવ્યો છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વસંતપુરા ગામમાં 30 કાગડાનાં ટપોટપ મૃત્યુ થયાં બાદ 5 સેમ્પલ ભોપાલ ખાતે રિપોર્ટ માટે મોકલવામાં આવ્યાં હતાં, જ્યાં 3 કાગડા રિપોર્ટ બર્ડ ફ્લૂ પોઝિટિવ આવ્યા છે, જેને પગલે પશુપાલન વિભાગની ટીમ દોડતી થઈ ગઇ છે અને એના અધિકારીઓએ કલેક્ટર સાથે બેઠક યોજી છે. પશુપાલન વિભાગની ટીમે સાવલી તાલુકાના મરઘા ઉછેર કેન્દ્રોને સાવચેતીનાં પગલાં લેવા માટે સૂચનાઓ આપી છે.

કબૂતર અને મોરનાં સેમ્પલ પણ ભોપાલ તપાસ માટે મોકલાશે
વડોદરા જિલ્લા પશુપાલન નાયબ નિયામક ડો. પ્રકાશ દરજીએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના વસંતપુરા ગામમાં વેરાઇ માતાના મંદિરની બાજુમાં 30 જેટલા કાગડાનાં મોત થયાં હતાં. અમારી ટીમ દ્વારા મૃત કાગડાના સેમ્પલ લેવાયાં હતાં અને ભોપાલની હાઇસિક્યોરિટી એનિમલ ડિઝીઝ લેબમાં મોકલી આપવામાં આવ્યાં હતાં, જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત કરજણ તાલુકાના કિયા ગામમાંથી મળેલા કબૂતર અને વડોદરાની રિલાયન્સ ટાઉનશિપમાંથી મળેલા મોરનાં સેમ્પલ પણ તપાસ માટે ભોપાલ મોકલવામાં આવશે અને સાવલીની પોલ્ટ્રી ફાર્મની પેદાશો બહાર વેચી શકાશે નહીં, સાવચેતીનાં પગલાં લેવા માટે સૂચનાઓ અપાઈ છે અને વસંતપુરાની આજુબાજુનો એક કિ.મી.નો વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવશે.

મરઘા ફાર્મમાં તપાસ કરીને સાવચેતી માટેની સૂચનાઓ અપાઈ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મરઘા ફાર્મમાં તપાસ હાથ ધરી હતી, જેમાં અમે સાવચેતીને લગતી કેટલીક સૂચના આપી હતી. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપરાંત ગ્લોવ્ઝ અને સેનિટાઇઝરનો ઉપયોગ તથા વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધો મૂક્યા છે. આ ઉપરાંત સ્વચ્છતા જાળવવાનું પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેર-જિલ્લામાં જ્યાં જ્યાં પશુપાલન વિભાગની તપાસ ટીમો ગઇ હતી ત્યાં અને સાવલી તાલુકાના મરઘા ઉછેર કેન્દ્રોને સાવચેતીનાં પગલાં લેવા માટે સૂચનાઓ આપી છે. લોકોએ બર્ડ ફલૂથી ગભરાવાની જરૂર નથી. માત્ર સાવચેતી રાખવાની જરૂર છે.