દાહોદ: દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળામાંથી નિવૃત્ત થયેલા 285 શિક્ષકો વય મર્યાદાને કારણે નિવૃત થયા બાદ પણ સમયદાન આપી ‘પ્રિય બાળકો’ને વાંચન, લેખન અને ગણનમાં સમક્ષ બનાવી રહ્યા છે. દાહોદ જિલ્લાની અંતરિયાળ તાલુકાની શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોના સમયદાનથી વિશેષ ફાયદો થઇ રહ્યો છે. ધાનપુર તાલુકામાં કુલ 66 સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી 13 શાળામાં નિવૃત્ત શિક્ષકો સમયદાન આપી રહ્યા છે. તાલુકામાં કુલ 174 શાળાઓ પૈકી આશ્રમ શાળા 14, માધ્યમિક શાળા 19, ખાનગી શાળા 4, ઉચ્ચ પ્રાથમિક શાળા 108 અને મોડેલ સ્કૂલની સંખ્યા 2 છે.
જેમાં જિલ્લા પંચાયતની શાળામાં કુલ 25276, આશ્રમ શાળામાં 2482 અને બિન અનુદાનિત શાળામાં 1115 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. નિવૃત્ત શિક્ષકો ગામમાં આદરભર્યું સ્થાન ધરાવતા હોય છે. તેનો લાભ પણ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. શિક્ષકો કોઇ મુશ્કેલીમાં હોય તો આવા વડીલ શિક્ષકો તેમના માટે મદદગાર થાય છે. વળી, શાળામાં અભ્યાસ કરતા બાળકો તથા તેના વાલીઓ સાથે પણ નિવૃત્ત શિક્ષકો સારો પરિચય ધરાવતા હોવાથી વાલી સંપર્ક પણ સરળતાથી થાય છે.
આ શિક્ષકો જે તે ગામની શાળામાંથી જ નિવૃત્ત થયા છે અને ગામમાં જ વસવાટ કરે છે. મુખ્યમંત્રી વીજય રૂપાણીએ મીશન વિદ્યા અંતર્ગત શિક્ષકોને સમયદાન આપવા અપીલ કરી હતી. આ અપીલને દાહોદ જિલ્લાના નિવૃત્ત શિક્ષકોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ખાસ કરીને જિલ્લાના અંતરિયાળ ગામોમાં આવેલી શાળામાં નિવૃત્ત શિક્ષકો કોઇ પણ વેતન લીધા વીના મિશન વિદ્યાનો ભાગ બન્યા છે. નિવૃત શિક્ષકોના સમયદાનનો લાભ શાળા, વિદ્યાર્થી અને શિક્ષણને મળી રહ્યો છે.
શિક્ષણકાર્ય કરતા નિજાનંદ મળે છે
કંજેટા શાળામાંથી 2014માં નિવૃત થઇ હતી.અહીંના બાળકો ભૌગોલિક પ્રતિકૂળતાના પરિણામે શાળાએ તો આવે છે, પણ યોગ્ય શિક્ષણથી વંચિત રહી જાય છે. જેવા અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકો પણ ઓછા આવવા માંગતા હોય છે. આવા સમયમાં અમારા જેવા નિવૃત્ત શિક્ષકો તેમને મદદરૂપ થાય છે. અમે શાળા સાથે પૂરી આત્મીયતા સાથે જોડાયેલા હોઇએ છીએ. બાળકો સાથે પણ અનોખો સંબંધ સ્થાપિત થાય છે. બાળકો પણ હોંશે હોંશે શીખે છે. શિક્ષણકાર્ય કરતા નિજાનંદ મળે છે. -કરૂણાબેન મોતીલાલ રાજપૂત, નિવૃત શિક્ષિકા
કયા તાલુકામાં કેટલા નિવૃત શિક્ષક સેવા આપે છે
* દાહોદ 77 * ગરબાડા 29 * ઝાલોદ 31 * લીમખેડા 24 * સિંગવડ 18 * ધાનપુર 13 * ફતેપુરા 48 * દેવગઢ બારિયા 40 * સંજેલી 05