દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોરની સંખ્યા નોંધપાત્ર છે. ત્યારે ઘણી વાર મોર અકસ્માતોનો ભોગ બનીને મૃત્યુ પામે છે. આજે પણ ટ્રેનની અડફેટે બે મોરના મૃત્યુ થયા છે. જેથી વન વિભાગે પીએમ કરી બંન્નેની અંત્યેષ્ટિ કરવાની તજવીજ હાથ ધરી છે.
રાષ્ટ્રીય પક્ષી મોરની મનમોહક સુંદરતા અનેરી છે. જેથી કોઇ પણ ઠેકાણે આ પક્ષી આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. મોટે ભાગે સજોડે રહેતા મોર અને ઢેલના ટહુકા પણ કર્ણ પ્રિય હોય છે. દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોર મોટી સંખ્યામાં છે. ખાસ કરીને ખેતરોની આસપાસ વધારે મોર રહે છે કારણ કે તેમને અહીં ખોરાક મળી રહે છે. ઘઉં અને ચણાની ઋતુમાં તો ખેતરોમાં મોરના ઝુંડ ઉમટી પડે છે. મોર ખેતરોમાં ચણા ચણી જતા હોવાથી ખેડૂતોને પાકમાં નુક્સાન પણ થાય છે. જેથી મોરને ઉડાડવા તેમજ ખેતરોથી દુર રાખવા વિવિધ પ્રકારના નુસ્ખા પણ અપનાવાય છે.
આવા ઘણાં કારણોસર મોરના અપમૃત્યુના કિસ્સા પણ કેટલીક વાર બને છે. જ્યારે મોર વીજ વાયર કે વાહનોની અડફેટે પણ મૃત્યુ પામવાની ઘટના પણ બનતી રહે છે. આજે પણ દાહોદ રેલવે સ્ટેશન તેમજ દાહોદ પાસે ધામરડા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે બે મોરના મૃત્યુ નીપજ્યા છે. રાષ્ટ્રીય પક્ષી હોવાથી તેમના મૃત્યુના કારણ ચકાસવા આવશ્યક હોવાથી વન વિભાગના કર્મચારીઓએ બંન્ને મૃત મોરના પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ બંન્નેની અંતિમ વિધિ પણ કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.