અમદાવાદ. યુપી પોતાના વતન જવા માટે ગોમતીપુરથી ચાલતા નારોલ પહોંચેલા એક શ્રમિકનું 44 ડિગ્રી ગરમીમાં મોત નિપજ્યું હતું. જ્યારે મોત થયું ત્યારે તે બસમાં બેસવાની લાઇનમાં ઊભા હતા.
પરિવારને આર્થિક સહાય આપવા રજૂઆત
આ ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઇકબાલ શેખે જણાવ્યું કે, ગોમતીપુરની છોટાલાલની ચાલીમાં રહેતા અબરાર અહેમદ અંસારીને વતન જવું હોવાથી તે 44 ડીગ્રી ગરમીમાં શાહવાડી નારોલ ખાતે બસની લાંબી લાઇનમાં ઊભો હતો. જોકે લુ લાગવાથી તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. તેના પરિવારને આર્થિક સહાય આપવા માટે શેખે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે.
તામિલનાડુ માટે પ્રથમવાર ટ્રેનની વ્યવસ્થા કરાઇ
અમદાવાદથી બિહારની 7, યુપીની 4 અને તમિલનાડુની એક મળી કુલ 12 ટ્રેનમાં 19,200 શ્રમિકો વતન પહોંચશે. તામિલનાડુ માટે પ્રથમવાર ટ્રેનની વ્યવસ્થા કરાઇ હતી. પ્રત્યેક ટ્રેનમાં 1600 શ્રમિકને બેસાડવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા બુધવારે અમદાવાદ અને વિરમગામથી શ્રમિકો માટે ટ્રેનની વ્યવસ્થા કરાઈ હતી.