ડીસામાં શનિવારે સગર્ભા મહિલા અને પુત્રનું મોત થયું હતું. તબીબે કહ્યું સિટીસ્કેનમાં કોવિડ આવ્યું હતું, જ્યારે આરોગ્ય વિભાગે જણાવ્યું હતુંકે આરટીપીસીઆર રિપોર્ટ દર્દીનો લેવાયો નથી. ડીસા તાલુકાના માલગઢના ગોગાઢાણી ખાતે રહેતા મંજુબેન અજયભાઈ માળી (ઉં.વ.30) હાલ ધાનેરા રહે છે તેમજ 15 દિવસ પહેલા મંજુબેનના પિતાનું અવસાન થયું હતું. મંજુબેનને 8 માસનો ગર્ભ હતો.
જેમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાના લક્ષણો જણાતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને તબિયત વધુ ખરાબ થતા છેલ્લા 3 દિવસથી મહિલાનું ઓક્સિજન લેવલ ખૂબ ઓછું હોવાથી તેમને ડીસાના આઈ.સી.યુ.માં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જો કે, શનિવારે વહેલી સવારે મજુંબનને નોર્મલ ડિલિવરી કરવામાં આવી હતી પરંતુ બાળકને મૃત હાલતમાં જન્મ આપ્યો હતો.
તે બાદ સગર્ભા મહિલા મંજુબેન કોરોના હોવાથી ઓક્સિજન લેવલ ઘટી જતાં આખરે મંજુબેન કોરોના સામે જંગ હારી ગયા હતાં. મંજુબેનનું મોત થતા ચાર નાની દીકરીઓએ પણ માતાની છત્રછાયા ગુમાવી હતી. આ દુઃખદ સમાચારથી સમગ્ર માળી સમાજ શોકની લાગણી પ્રસરી હતી.મૃતક મહિલા મંજુબેનને અગાઉ પણ ચાર દીકરીઓ હતી. મંજુબેનનું મોત થતાં ચાર દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી હતી.
દર્દીના એચઆરસીટીમાં કોવિડનો સ્કોર આવ્યો: ખાનગી તબીબ
ડીસાની ખાનગી હોસ્પિટલના તબીબ દ્વારા ધાનેરાની મંજુબેનના રિપોર્ટ કરાવતા કોવીડ નિદાન થયું હતું. જોકે જિલ્લા આરોગ્ય વિભાગને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં હાલ કોરોનાના 9 દિવસથી 0 કેસ આવી રહ્યા છે. જો દર્દીનો આરટીપીસીઆર રિપોર્ટ કરાવ્યો હોય તોજ સાચી સ્થિતિ ખબર પડે.