પંજાબની સંગરુર કોર્ટે માનહાનિના કેસમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સમન્સ જાહેર કર્યું છે. ખડગેને સંગરુરના રહેવાસી અને હિન્દુ સુરક્ષા પરિષદ બજરંગ દળ હિંદના સંસ્થાપક હિતેશ ભારદ્વાજ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. હિતેશ ભારદ્વાજે તાજેતરમાં પૂર્ણ થયેલી કર્ણાટક ચૂંટણી દરમિયાન બજરંગ દળ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ખડગે વિરુદ્ધ રૂ. 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
સ્થાનિક કોર્ટના સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) રમનદીપ કૌરની કોર્ટે ખડગેને 10 જુલાઈએ સમન્સ પાઠવ્યું છે. અરજદાર હિતેશ ભારદ્વાજે દાવો કર્યો છે કે, કોંગ્રેસે બજરંગ દળની તુલના રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે કરી છે. કર્ણાટક સત્તામાં આવ્યા બાદ બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું પણ વચન આપ્યું હતું. ભારદ્વાજે કહ્યું કે ગુરુવારે જ્યારે તેમણે જોયું કે મેનિફેસ્ટોના પેજ નંબર-10 પર કોંગ્રેસે બજરંગ દળની તુલના રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે કરી છે અને જો ચૂંટણી જીતશે તો સંગઠન પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું છે ત્યારે તેમણે કોર્ટનો સંપર્ક કર્યો હતો.