નવરાત્રિના તહેવાર સાથે જ બજારમાં ખરીદીનો માહોલ શરૂ થઇ ગયો છે. હાલમાં સામાન્ય દિવસો કરતાં બજારમાં ખરીદી માટે ચહલપહલ વધુ છે. દશેરાના પર્વમાં સોના-ચાંદી, ટૂ-ફોર વ્હીલર, ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુ અને ઘર-મકાન- દુકાન ખરીદવા માટેનું શુભ મુહૂર્ત મનાતું હોય છે. ત્યારે રાજકોટમાં વિજ્યાદશમીના તહેવાર પર વાહનોનું વેચાણ ઘટ્યું છે. દર વર્ષે 4 કરોડનાં ફોર-વ્હીલર વાહનોનું વેચાણ થાય છે, પરંતુ આ વર્ષે 2.5 કરોડનાં 1000 ફોર-વ્હીલર વેચાશે. જ્યારે 1500થી 1800 જેટલાં ટૂ-વ્હીલરનું વેચાણ થશે. ફોર-વ્હીલ વાહનના ઉત્પાદન ઓછું થતું હોવાથી વેચાણ ઘટ્યું છે. હાલ વાહનોની ખરીદ કરવા આવેલા લોકોને 10 મહિનાનું વેઇટિંગ આપવામાં આવી રહ્યું છે. મોંઘવારીને કારણે CNG ગેસ કિટ વાહનની માગમાં પણ વધારો થયો છે ત્યારે લોકો પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા CNG વાહન તરફ વળ્યા છે. હાલ પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવથી વાહનચાલકોની આર્થિક એવરેજ ઘટી રહી છે.
લાંબું વેઈટિંગ જોવા મળી રહ્યું છે
રાજકોટનાં ઓટો-મોબાઈલ ડીલરે ટૂ-વ્હીલરના વેચાણ બાબતે જણાવતાં કહ્યું હતું કે સેમી-કંડકટરની અછતને પગલે દરેક સ્કૂટરમાં લાંબું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. આ વર્ષે નવરાત્રિ અને દશેરામાં વેચાણની સ્થિતિ ગયા વર્ષની સરખામણીએ ખૂબ સારી છે. લોકો વાહનો ખરીદવા આગળ આવી રહ્યા છે, માગ વધી છે, પરંતુ તેની સામે ઉત્પાદન ખૂબ ઓછું થવાને લીધે લોકોને ડિલિવરી મેળવવા માટે લાંબી પ્રતીક્ષા જોવી પડે છે. અન્ય વર્ષની સરખામણીએ કોરોના અને ચિપની અછતને પગલે આ વર્ષે દશેરામાં માર્કેટ 20 ટકા ડાઉન રહેવાની શક્યતા વર્તાય રહી છે.
ગ્રાહકો તો છે, પરંતુ પ્રોડકટ જ નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બજારમાં ગ્રાહકો તો છે, પરંતુ પ્રોડકટ જ નથી તેમજ છેલ્લા 6 મહિનામાં રો-મટિરીયલ્સ સ્ટીલ, ટ્રાન્સપોર્ટેશન સહિતની ચીજ વસ્તુઓના ભાવ વધી જતાં વાહનોની કિંમત પણ 5થી 7 ટકા વધી છે. સ્કૂટરમાં 15 દિવસથી લઈને 45 દિવસ સુધીનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. આ વર્ષે દશેરામાં કેટલું વેચાણ થશે એ બાબતે જણાવતાં તેમણે ઉમેયુ હતું કે ટૂ-વ્હીલરની વાત કરીએ તો રાજકોટમાં 1500થી 2000 ટૂ-વ્હીલર દશેરાના દિવસે વેચાવાની શક્યતા છે.
CNGની માગ ઓલમોસ્ટ ડબલથી ટ્રિપલ થઈ ગઈ છે
અતુલ મોટર્સના મેનેજર જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દશેરાએ પ્રથમ સેશનમાં ખરીદીનો માહોલ સારો હતો, જ્યારે બપોર બાદ માર્કેટમાં ખરીદનારાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. દશેરા કરતાં પહેલા નોરતે સારી ઘરાકી હતી. કોરોના કરતાં આ વર્ષે 50 ટકા વધારે ઘરાકી જોવા મળી રહી છે. દશેરા નિમિત્તે વેચાણમાં વધારો નોંધાયો છે અને બુકિંગ પણ ખૂબ સારું છે, પરંતુ પેટ્રોલના ભાવ 100 રૂપિયાથી વધતાં લોકો CNG તરફ વળી રહ્યા છે અને CNGની માગ ઓલમોસ્ટ ડબલથી ટ્રિપલ થઈ ગઈ છે.