લખનઉ. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શનિવારે વડાપ્રધાન કાર્યાલયને 3 અને 5 ઓગસ્ટની તારીખ મોકલી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, PMOએ 5 ઓગસ્ટની તારીખ પંસદ કરી છે. સમાચાર મળી રહ્યા છે કે વડાપ્રધાન આ ભૂમિ પૂજનમાં સામેલ થઈ શકે છે.
રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની શનિવારે બેઠક થઈ
રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની શનિવારે બેઠક થઈ હતી. જેમાં રામ મંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્ર સહિત 12 સભ્યો સામેલ થયા હતા. જ્યારે ત્રણ સભ્યો વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. જો કે ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ વડાપ્રધાનને અયોધ્યા આવવા માટેનું આમંત્રણ પહેલા જ મોકલી ચુક્યા છે. અયોધ્યામાં 161 ફુટ ઊંચું રામ મંદિર બનાવાશે.
3 થી સાડા ત્રણ વર્ષમાં મંદિર નિર્માણ પુરુ થઈ જશે
શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે શનિવારે જણાવ્યું હતું કે, ચોમાસા પછી જ્યારે પરિસ્થિતિ સામાન્ય થશે તો મંદિર નિર્માણમાં આર્થિક સહાયતા માટે દેશના 10 કરોડ પરિવારોનો સંપર્ક કરવામાં આવશે. ફંડ એકઠું કર્યા પછી અને મંદિર મંદિર નિર્માણ સાથે જોડાયેલું ડ્રોંઈગ ખતમ થયા પછી લાગે છે કે 3 સાડા ત્રણ વર્ષમાં મંદિરનું નિર્માણ પુરુ થઈ જશે.
જે અવશેષ જમીનમાંથી મળ્યા, તેને બધાએ જોયા
ચંપત રાયે કહ્યું કે, જ્યાં મંદિર બનવાનું છે, એ સ્થળ પરથી કાટમાળ હટાવીને તેને સમતલ બનાવવામાં આવ્યું છે જેથી કામ કરનાર લોકોને સરળતા થઈ શકે. જે અવશષે જમીનમાંથી મળ્યા છે, તેને ઘણા લોકોએ જોયા છે. 60 મીટર ઊંડાઈ સુધી ખોદકામ કરીને જમીનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.