ધાનેરાઃ ધાનેરામાં રાયડાના ટેકાના ભાવથી ખરીદી ચાલુ હતી પરંતુ બે દિવસથી રાયડાની ખરીદી બંધ કરી દેવાતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને રાષ્ટ્રીય કિસાન સંઘના હોદેદારો અને ખેડૂતોએ ધાનેરા મામલતદારને બુધવારે આવેદનપત્ર આપી ચીમકી આપી હતી કે જો 7 દિવસમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ નહીં કરાય તો સરકાર સામે ખેડૂતો મોરચો માંડી આંદોલન કરશે. 9690 રજીસ્ટ્રેશન સામે 3000 ખેડૂતોનાં માલનો તોલ થયો છે. બાકીના 6690 ખેડૂતોનો માલનો તોલ થયો નથી તેવામાં જ બંધ કરાતાં રોષ ફેલાયો છે.
ધાનેરા ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવથી રાયડાની ખરીદી ચાલુ હતી. તંત્ર દ્વારા બે દિવસથી ખરીદી બંધ કરાતાં ખેડૂતો રોષે ભરાયા હતા. રાત્રીના સમયે મળતીયાઓનો માલ પાછળ બારણે તોલાતો હતો. જ્યારે 9690 રજીસ્ટ્રેશન ખેડૂતો થયા હતા. જે પૈકી અંદાજે 3000 ખેડૂતોનાં માલનો તોલ થયો છે. બાકીના 6690 અનુસંધાન પાના નં-2
ખેડૂતોનો માલનો તોલ થયો નથી અને અગાઉ પણ ખેડૂતોએ ભ્રષ્ટાચાર બાબતે હલ્લાબોલ કરી રસ્તો બ્લોક કર્યો હતો.
જેમાં મામલતદાર મધ્યસ્થી થઇ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. ત્યારબાદ તોલ શરૂ થયો હતો પરંતુ બોરીઓ ઉતારવાની મજુરી ખેડૂતો પાસેથી વસુલ કરવામાં આવતી હોવાથી ફરી ખેડૂતો નારાજ થયા હતા અને ઉચ્ચ લેવલે રજૂઆતો પણ કરી હતી. જ્યારે બે દિવસથી રાયડાની ખરીદી જ બંધ કરવામાં આવતાં ખેડુતો બુધવારે પૂરવઠા નિગમની કચેરીએ ભેગા થઈ આંદોલન કરવાની ચેતવણી આપી હતી. તે ઉપરાંત રાષ્ટ્રીય કિસાન સંઘના હોદેદારો અને ખેડૂતોએ ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપી ચીમકી આપી હતી કે જો 7 દિવસમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ નહીં કરાય તો સરકાર સામે ખેડૂતો મોરચો માંડી આંદોલન કરશે તેવું રાષ્ટ્રીય કિસાન સંઘના ધાનેરાના પ્રમુખ વિરમભાઈ કાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મોકલવામાં આવે તેવું મામલતદારને જણાવવામાં આવ્યું હતું.
ખરીદી ચાલુ કરવા 6 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી
બનાસકાંઠામા રાયડાની ટેકાનભાવે ખરીદી કરવા ખેડુતોએ રજીસ્ટ્રશન કરાવ્યુ હતુ પરંતુ રજીસ્ટ્રેશન કરાવેલા ખેડુતોમાથી મોટાભાગના ખેડુતોની ખરીદી બાકી છે.અને તંત્ર દ્વારા ખરીદી સેન્ટરો બંધ કરી દેવાતા ખેડુતો અટવાયા છે.જેને લઇ જીલ્લામા બાકી રહેલા ખેડુતોની ખરીદી શરૂ કરવા પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ,ધાનેરાના ધારાસભ્ય નાથાભાઇ પટેલ,દિયોદરના ધારાસભ્ય શિવાભાઇ ભુરીયા,વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર,દાંતા ધારાસભ્ય કાંતીભાઇ ખરાડી તેમજ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી ખરીદી શરૂ કરવા ભલામણ કરાઇ છે.