સમગ્ર ગોહિલવાડમાં સતત ત્રીજા દિવસે આકાશમાંથી આફત વરસી હતી. ભાવનગર શહેરમાં બુધવારે રેડ એલર્ટની આગાહી વચ્ચે સવારથી લઈ બપોર સુધીમાં ધોધમાર ત્રણ ઈંચ કમોસમી વરસાદ વરસ્યો હતો. તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે અડધોથી બે ઈંચ પાણી પડયું હતું. ત્રણ દિવસથી મેઘરાજાએ જિલ્લાને ધમરોળ્યું હોય, માવઠાંથી તારાજી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દરમિયાનમાં આજે ગુરૂવારે પણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
ભાવનગર શહેરમાં મધરાત્રિના સમયે મિની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યા બાદ આજે બુધવારે રેડ એલર્ટની આગાહી વચ્ચે વહેલી સવારે આઠ કલાક બાદ મેઘરાજાએ પુનઃ આગમન કરી ધોધમાર વરસાદ વરસાવવાનું શરૂ કર્યું હતું. માત્ર બે કલાકની અંદર જ સવા બે ઈંચ પાણી ખાબકી ગયા બાદ બપોરે 12:30 કલાક સુધી ધીમીગતિએ વધુ એક ઈંચ જેટલો વરસાદ થતાં શહેરમાં કુલ ત્રણ ઈંચ પાણી વરસ્યું હતું.બપોરે બે કલાક બાદ ઉઘાડ નીકળતા શહેરીજનોને ત્રણ દિવસ બાદ સૂર્યનારાયણના દર્શન થયા હતા.
ગારિયાધારમાં બપોરે વીજળીના કડાકા-ભડાકા સાથે 24 મિ.મી. વરસાદ ખાબક્યો હતો. તો, તાલુકાના પરવડી, નાની-મોટી વાવડી, પચ્છેગામ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદના વાવડ છે. જ્યારે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ થતાં લુવારા ગામ પાસે આવેલી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ હતી. સિહોરમાં સવારથી બપોર સુધીમાં મેઘગર્જના સાથે ધીમીધાર અને ઝાપટાં સ્વરૂપે અડધો ઈંચ વરસાદ બાદ ઉઘાડ નીકળ્યો હતો.
જયારે, મહુવામાં મંગળવારે સાત ઈંચ વરસાદ બાદ આજે સવારે સાંજે ઝાપટાં સ્વરૂપે 14 મિ.મી.વરસાદ વરસ્યો હતો.વીજ તંત્રની ઘોર બેદરકારીના કારણે સાંજે સુધી ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વવત થયો ન હતો. તો, પાલિતાણામાં સતત ત્રીજા દિવસે ધોધમાર એક ઈંચ વરસાદ બાદ વાદળિયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ખમૈયા કર્યા હતા. વરસાદના આગમનને પગલે થોડીવાર માટે વીજળી ડૂલ થઈ ગઈ હતી. ઉમરાળામાં સવારે ધીમીધારે અડધો ઈંચ વરસાદ વરસ્યા બાદ આખો દિવસ વરસાદી વાતાવરણ રહ્યું હતું.
વલ્લભીપુરમાં પવન સાથે 17 મિ.મી. વરસાદી વરસી જતા બજારમાં રસ્તાઓ ઉપરી પાણી નીકળી ગયા હતા. સાથે જ વીજ તંત્રએ સતત ત્રીજા દિવસે શહેરને બાનમાં લીધું હોય તેમ આખો દિવસ વીજળી ડૂલ રહી હતી.જેસરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ થયો હતો. એક જ કલાકમાં અડધો ઈંચ પાણી ખાબકી જતાં ગામમાં પાણી-પાણી થઈ ગયું હતું. ઘોઘામાં પણ સવારથી બપોરના સમયગાળા વચ્ચે ધોધમાર 43 મિ.મી.વરસાદ વરસ્યો હતો.
ઉપરાંત, તળાજામાં અડધો ઈંચ વરસેલા વરસાદે વીજ તંત્રની પોલ ખોલી હતી. પાવઠી રોડથી સરતાનપર બંદર વિસ્તારની સોસાયટીમાં ગતરોજ ખોરવાયેલો વીજ પુરવઠો આજે બપોર બાદ શરૂ થયો હતો. ઉલ્લેખનિય છે કે, રેડ એલર્ટ વચ્ચે આજે સમગ્ર જિલ્લામાં અડધોથી ત્રણ ઈંચ પાણી વરસતા ખેડૂતોને પડયા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. હજુ આવતીકાલ ગુરૂવારે પણ ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેણે જગતના તાતની ચિંતા વધારી છે.