મુંબઈ. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો એ વાતથી ખુશ છે કે આ શોના નવા એપિસોડ પ્રસારિત થઈ રહ્યા છે. લૉકડાઉનમાં જૂના એપિસોડ બતાવવામાં આવ્યા હતા અને હવે નવા એપિસોડનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. જોકે, કેટલાંક દિવસોથી એવા ન્યૂઝ વહેતા થયા છે કે સિરિયલના મહત્ત્વપૂર્ણ કલાકારો આ શો છોડી શકે છે. આ દરમિયાન મિસિસ સોઢી એટલે કે જેનિફર મિસ્ત્રી બંસીવાલે ચાહકોને સારા સમાચાર આપ્યા છે.
દિશા વાકાણી શોમાં ફરી જોવા મળે તેવી શક્યતા
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં જેનિફરે કહ્યું હતું, હું દિશાને સેટ પર ઘણી જ મિસ કરું છું પરંતુ હું સમજી શકું છું કે આ સમય તેના માટે દીકરી સ્તુતિની દેખરેખ માટે વધુ જરૂરી છે. તે પરિવારને સમય આપવા ઈચ્છે છે અને તેમાં ખુશ છે. જોકે, મને ખ્યાલ છે કે તે શોમાં ટૂંક સમયમાં પરત ફરશે.
ઘણીવાર કમબેકની ચર્ચા થઈ
આ પહેલાં શોને 12 વર્ષ પૂરા થયા ત્યારે ચર્ચા હતી કે મેકર્સ એક સ્પેશિયલ એપિસોડની તૈયારી કરે છે. આ એપિસોડમાં દિશા જોવા મળશે. આ ન્યૂઝ પર અસિત મોદીએ વેબ પોર્ટલ પિંકવિલા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હજી આ અંગે કંઈ જ નક્કી કરવામાં આવ્યું નથી.
સપ્ટેમ્બર, 2017થી શોમાં જોવા મળતી નથી
દિશા સપ્ટેમ્બર, 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી. નવેમ્બર, 2017માં દિશાએ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે, અઢી વર્ષ બાદ પણ દિશા શોમાં પરત ફરી નથી. એવી પણ ચર્ચા હતી કે દિશાના પતિ મયુર પડિયાએ કેટલીક શરતો રાખી હતી, જેમાં દિશા માત્ર ચાર કલાક કામ કરશે અને 15 દિવસ જ સેટ પર આવશે. આ શરતો મેકર્સને સ્વીકાર્ય નહોતી.