જ્યોતિષશાસ્ત્ર એ એક અગાધ વિજ્ઞાન છે. તેમાં તમે જેમ જેમ જાણો તેમ તેમ નીત નવું જાણવા અને શીખવા મળે છે. હિંદુ ધર્મમાં તિથિઓનું સૌથી વધુ મહત્વ હોય છે. કેટલીક તિથિઓ શુભ હોય છે આપણે ત્યાં કહેવતો અને રૂઢિપ્રયોગોમાં પણ તેનો ઉપયોગ થાય છે. જેમ કે ત્રીજ અને તેરસ એટલે વગર જોયું મુહૂર્ત. અર્થાત કોઈ પણ મહિનાની ત્રીજ અને તેરસના દિવસે શુભ કાર્ય અવશ્ય કરી શકાય છે પછી તે સુદ હોય કે વદ હોય.
જોકે ઘણાં લોકોને એ જ ખબર હોતી નથી કે તિથિ એટલે કે શું. ભારતીય જ્યોતિષશાસ્ત્ર ચંદ્ર પર આધારિત છે. ચંદ્ર પૃથ્વીથી સૌથી નજીક હોવાથી તેની ગણના પ્રમાણે ધ્યાને લઈને કામ કરવાથી શુભ થાય છે. તિથિએ ચંદ્રની કળા અને વિકળા સાથે સંબંધ ધરાવે છે. ચંદ્રની કળા જોઈને કઈ તિથિ છે તે નક્કી થાય છે.
જેમ કે બીજનો ચંદ્ર અલગ દેખાય છે તો વદ ચોથનો ચંદ્ર અલગ દેખાય છે તો પૂનમનો ચંદ્ર અલગ દેખાય છે. આ ગણના પરથી તિથિ આવે છે. હિંદુ ધર્મમાં 15 તિથિ સુદની અને 15 તિથિ વદની હોય છે. સુદની પંદરમી તિથિએ પૂનમ આવે છે. અને વદની પંદરમી તિથિએ અમાસ આવે છે.
જ્યોતિષશાસ્ત્રમાં પણ તિથિઓને વર્ગીકૃત કરવામાં આવી છે. જેમાં નંદા, ભદ્રા, જયા, રિક્તા પૂર્ણા જેવું વર્ગીકરણ કરવામાં આવે છે. આ તિથિઓમાં ચોથ, નોમ અને ચૌદશને રિક્તા તિથિ ગણવામાં આવે છે. આ દિવસે શુભ કાર્ય કરવાથી શુભ થતું નથી. જો કરવામાં આવે તો શુભતાનો ક્ષય કે શુભત્વમમાં ઘટાડો થાય છે. અર્થાત શુભફળ મળતું નથી.
જ્યારે નંદા તિથિમાં કોઈ પણ પ્રકારની વિલાસિતા અને મનોરંજન સંબંધિત કાર્ય કરવા જોઈએ. જ્યારે ભદ્રા તિથિમાં સ્વાસ્થ્ય અંગેના કાર્ય કરવા જોઈએ. શિક્ષણ અને હરિફાઈ સંબંધી કે વ્યવસાય સંબંધી કાર્ય કરવા જોઈએ. જ્યારે જયા તિથિમાં પ્રતિયોગિતા અને કાનૂની કાર્ય કરવા જોઈએ.
જ્યારે રિક્તા તિથિમાં જો કોઈ કાર્ય કરવા હોય તો ઓપરેશન, દુશ્મનોનો ખાત્મો, દેવામાંથી છૂટકારો મેળવવા અંગેના કાર્ય કરવા જોઈએ. જ્યારે પૂર્ણા તિથિમાં કરવામાં આવેલા તમામ સંકલ્પો સિદ્ધ થાય છે અને તે શુભ ફળદાયી નિવડે છે.