અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ઘણો રોષ પ્રવર્ત્યો છે. આ નિવેદન બાદ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી છે. પરંતુ ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે, રાજકોટની સીટ પરથી પરશોત્તમ રૂપાલાને હટાવવામાં આવે. ત્યારે આ વિવાદમાં હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ક્ષત્રિયોના પક્ષમાં વાત કરી છે અને પરશોત્તમ રૂપાલાને હટાવવાની માંગ કરી છે.
તેમણે મીડિયા સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યુ કે, ‘બહેન દીકરીઓનું અપામાન ન ચાલવી લેવાય.’પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજનું સમર્થન કરતા કહ્યુ કે, આ માત્ર પટેલ કે ક્ષત્રિયની લડાઇ નથી. સમાજના કલેજા પર ચોટ લાગી છે એટલે એમા માત્ર ભાજપના રાજકોટ કાર્યાલયમાં જ તાળા વાગશે એવું તો નહીં હોય પરંતુ ગમે ત્યાં તાળા વાગી શકે છે. જો ભાજપ ઉમેદવાર નથી બદલતી તો તેનો અર્થ એ કે, તમારી બેન બેટીઓ પર ગમે તે કહીશું તમે થાય એ કરી લો એવું સમજવાનું? આપણે આપણી બહેન દીકરીઓ સામે કોઇ બોલે તો સાંભળી લઇશું? સમાજની લાગણી, માંગણીને ઠેસ લાગી છે. આ બધુ બીજેપીના હાથમાં છે. બીજેપીનું હાઇકમાન્ડ આ ન સમજે તો આપણે સમજીલેવાનું કે, આમાં બીજેપીની સહમતી છે. તમને આ બધુ મંજૂર છે તો અમારે જે કરવું હશે તે કરીશું જો સરકાર આના દાઝ્યા પર ડામ દેશે તો ગુજરાત માટે આ તંદુરસ્ત નથી