છાણી વિસ્તારના એક રહિશને હોસ્પિટલ અને સારવાર ખર્ચ ચુકવવાની ના પાડનાર સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યુરન્સ કંપનીને વડોદરા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને ફટકાર લગાવી છે અને અરજદારને સારવાર ખર્ચની રકમ ૯ ટકા વ્યાજ સાથે ઉપરાંત કાનુની ખર્ચ અને શારીરિક માનસિક ત્રાસના વળતરની રકમ ચૂકવવા પણ હુકમ કર્યો છે.
‘દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ન હતી’ તેમ કહીને સ્ટાર હેલ્થ ઇન્સ્યુરન્સે અરજદારનો ક્લેઇમ ના મંજૂર કરી દીધો હતો, હવે 9 ટકા વ્યાજ સાથે ક્લેઇમની ચૂકવણી કરવી પડશે
ગ્રાહક કમિશનમાં દાખલ થયેલા કેસની વિગત એવી છે કે છાણી ગામમાં રહેતા શાંતિલાલ એમ.પટેલે સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્યુરન્સ કં.લી. પાસેથી પોતાના અને પત્ની માટે ફેમિલી હેલ્થ ઓપ્ટીમાં પોલિસી લીધી હતી જે અંતર્ગત પતિ-પત્નીનું રૂ. 6.50 લાખનું રિસ્ક કવર થતું હતું. દરમિયાન શાંતિલાલ પટેલનું સ્વાસ્થ્ય ખરાબ થતાં તેઓ ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયા હતા જ્યાં હોસ્પિટલે તેને તા.21 ફેબ્રુઆરી થી 24 ફેબુ્રઆરી 2023 એમ ચાર દિવસ દાખલ કરીને સારવાર કરી હતી જેનો કુલ ખર્ચ 33120 રૂપિયા આવ્યો હતો. શાંતિલાલ પટેલે તમામ દસ્તાવેજો સાથે સ્ટાર હેલ્થમાં પોતાનો ક્લેઇમ રજૂ કર્યો હતો. પરંતુ કંપનીએ ‘હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહતી’ એમ કહીને ક્લેઇમ નામંજૂર કરી દીધો હતો આથી શાંતિલાલ પટેલે આ મામલે ગ્રાહક કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. ગ્રાહક કમિશને આ કેસમાં સ્ટાર હેલ્થ ઇન્સ્યુરન્સ કંપનીને રૂ.33120 રૂપિયા 18 માર્ચ 2023થી 9 ટકા વ્યાજ ગણીને બે મહિનામાં ચુકવી દેવા ઉપરાંત ફરિયાદ ખર્ચના રૂ. 2000 અને માનસીક-શારિરીક ત્રાસના રુ.1000 ચુકવી દેવા હુકમ કર્યો છે.હોસ્પિટલ અને સારવારના હવે લાખો રૂપિયા ચુકવવા પડે છે જેના કારણે મધ્યમવર્ગ મેડિક્લેઇમ લે છે અને પોતાની ટૂંકા આવકમાંથી બચત કરીને તેના પ્રિમિયમ રૂપી હપ્તા ભરે છે. પણ જ્યારે વ્યક્તિ બીમાર પડે અને હોસ્પિટલ તથા સારવાર ખર્ચની જરૂર પડે તે સમયે જ હેલ્થ ઇન્સ્યુરન્સ કંપનીઓ વાહિયાત કારણો આડે ધરીને ક્લેઇમ નામંજૂર કરી દેતી હોય છે ત્યારે ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો આ ચુકાદો મહત્વનો બની રહેશે.શાંતિલાલ પટેલ વિરૃધ્ધ સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યુરન્સ કં.લી.ના કેસમાં વડોદરા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને હેલ્થ ઇન્સ્યુરન્સ કંપનીઓને લપડાક મારતા ચુકાદામાં નોંધ કરી છે કે કોઇ પણ દર્દીની સારવાર કેવી રીતે કરવી તે ઇન્સ્યુરન્સ કંપની નક્કી કરી શકે નહી. ડોક્ટરને જે યોગ્ય લાગે તે રીતે સારવાર કરે. ડોક્ટરને લાગતુ હોય કે દર્દીને દાખલ કરવાની જરૃર છે અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરે તો ઇન્સ્યુરન્સ કંપની ‘હોસ્પિટલમાં દાખલ થવાની જરૃર નહતી’ એવુ કહીને ક્લેઇમ નામંજૂર ના કરી શકે. હોસ્પિટલમાં દાખલ થવાની જરૃર હતી કે નહી તે માત્ર ને માત્ર ડોક્ટર જ નક્કી કરે. જ્યારે ડોક્ટર હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપે ત્યારે દર્દી એવુ ના કહી શકે કે હું ઘરમાં રહીને સારવાર કરીશ.આમ સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યુરન્સ કંપનીએ તદ્દન ઉપજાવી કાઢેલા ક્લોઝના કારણેસર ક્લેઇમ નામંજૂર કરીને અનૈતિક વ્યાપાર પધ્ધતિ આચરી છે.