ગાંધીનગર. ગઈકાલે દરિયાપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આજે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ કરનાર ડો. અતુલ પટેલે ગુજરાતના જાણીતા ડો. આર કે પટેલ સાથે પરીક્ષણ કર્યુ હતું. રૂપાણી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે. તેઓ પોતાના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન અને તંત્રનું માર્ગદર્શન ટેક્નોલોજીના ઉપયોગથી વીડિયો કોન્ફરન્સ, વીડિયો કોલિંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે. દરમિયાન તેઓ એક સપ્તાહ સુધી કોઈને પણ મળી શકશે નહીં. રૂપાણી સરકારની તમામ કામગીરીનું સંચાલન અને માર્ગદર્શન ટેક્નોલોજીના ઉપયોગથી મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાબેતા મુજબ કરશે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું છે.