સુરતઃ ઉનાઈના ખભાળિયા ગામમાં નશા ખોર યુવકે નિંદ્રાવાન બે માસૂમ ભાઈ-બહેનોના ગળા કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. બુમાબુમ થઈ જતા પરિવાર અને મહોલ્લાના લોકો દોડી આવ્યા હતા. લોહી નીકળતી હાલતમાં બન્ને બાળકોને સારવાર માટે તાત્કાલિક 108ની મદદથી વાંસદા બાદ વલસાડ સિવિલ લઈ જવાયા હતા. જ્યાં બન્ને બાળકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
બાઈકની ચાવી માંગતા ના કહી હતી
મનોજભાઈ મનોજભાઈ સુમનભાઈ પટેલ(બાળકોના પિતા)એ જણાવ્યું હતું કે, રાત્રીના ભોજન બાદ બાળકો અને પરિવાર સુવા ચાલી ગયો હતો અને તેઓ ઘર નજીક મિત્રો સાથે બેઠા હતા. ત્યારે જીતેન્દ્ર દારૂના નશામાં લવારા કરતો કરતો આવ્યો હતો અને દારૂના રૂપિયા માંગ્યા હતા. કોઈ માથાકૂટ કરવા કરતાં રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ બાઇકની ચાવી માંગી હતી બસ એ માટે ના પાડતા ચાલી ગયો હતો. ગણતરીની મિનિટોમાં તેમના ઘરમાંથી બાળકો અને પરિવાર ની બુમાબુમ આવતા તેઓ દોડી ગયા હતા.
હુમલાખોરની પોલીસે ધરપકડ કરી
ઘરમાં રાજકુમાર(ઉ.વ.13) અને નંદની(ઉ.વ.14) લોહીના ખાબોચીયામાં તફડતી હાલતમાં હતા. જીતેન્દ્રના હાથમાં બ્લેડ હતી. લોકોએ તાત્કાલિક જીતેન્દ્રને પકડીને બહાર લઈ ગયા હતા. ત્યારબાદ ફટકારી બાંધી દીધો હતો અને તરત 108ને ફોન કરી બોલાવી લીધી હતી. બન્ને બાળકોને વાંસદામાં પ્રાથમિક સારવાર આપી વલસાડ હોસ્પિટલ રીફર કરી દેવાયા હતા જ્યાં બન્ને બાળકોને તાત્કાલિક ઓપરેશનમાં લેવાયા હતા. હાલત હજી નાજુક હોવાનું તબીબો કહી રહ્યા છે. ઉનાઈ પોલીસે હુમલાખોર દારૂડિયા જીતેન્દ્રની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.