આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મેકિંગ દરમિયાન જ વિવાદમાં આવી ગઈ છે. ફિલ્મ અંગે ગંગુબાઈ ના પરિવારે વિરોધ પ્રગટ કરીને બોમ્બે સિટી સિવિલ કોર્ટમાં હુસૈન ઝૈદી, સંજય લીલા ભણસાલી તથા આલિયા ભટ્ટ પર 22 ડિસેમ્બરના રોજ કેસ કર્યો હતો. આ કેસમાં સાત જાન્યુઆરી, 2021 સુધી ત્રણેય સેલેબ્સને જવાબ આપવાનો સમય આપવામાં આવ્યો છે.
ફિલ્મ હુસૈન ઝૈદીના પુસ્તક પર આધારિત
ફિલ્મનું શૂટિંગ હાલમાં મુંબઈના ફિલ્મસિટીમાં થઈ રહ્યું છે. શૂટિંગ માટે સેટ ડિઝાઈનિંગ પાછળ અંદાજે 6.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. હુસૈન ઝૈદીની બુક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત આ ફિલ્મમાં ગંગુબાઈની વાત કહેવામાં આવશે. ગંગુબાઈનું 60ના દાયકામાં મુંબઈ માફિયા વર્લ્ડમાં મોટું નામ હતું. કહેવાય છે કે તેમના પતિએ માત્ર 500 રૂપિયામાં તેમને વેચી દીધા હતા. ત્યારબાદ તેઓ વેશ્યાવૃત્તિમાં આવી ગયા હતા. આ દરમિયાન તેમણે મજબૂર યુવતીઓ માટે ઘણું જ સારું કામ કર્યું હતું.
ફિલ્મમાં અજય દેવગન પણ જોવા મળશે
ફિલ્મમાં અજય દેવગન મેન્ટરના રોલમાં જોવા મળશે. અજય ફિલ્મમાં કરીમ લાલાનો રોલ પ્લે કરશે. હાલમાં આલિયા ભટ્ટની સાથે કયો લીડ હીરો હશે, તે નક્કી કરવામાં આવ્યું નથી.